Cyclone Mocha Update : ભયંકર ચક્રવાતમાં ફેરવાશે ચક્રવાત મોચા, જાણો ક્યાં થશે કેટલી અસર
Cyclone Mocha Update : મોચા ચક્રવાત આજે બંગાળની ખાડીમાં એક ભયંકર ચક્રવાતમાં ફેરવાઇ જશે. જે કારણે આ ચક્રવાતના ઘણા દરિયાકિનારા પર ઝડપી પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીની ઉપર ઓછા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જે ચક્રવાતમાં ફેરવાશે અને આ અઠવાડિયાના અંત સુધીમાં બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધે તેવી શક્યતા છે.
IMDના ભુવનેશ્વર કેન્દ્રના ડાયરેક્ટર એચઆર બિસ્વાસે જણાવ્યું હતું કે, 10 મે પછી ગંભીરથી અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા છે. IMDએ જણાવ્યું હતું કે, 11 મેના રોજ ચક્રવાત મોચા ગંભીર તોફાનમાં પરિવર્તિત થયા બાદ પવન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. 13 મે સુધીમાં તે નબળું પડે તેવી શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતની પુષ્ટિ કરી હતી. મહાપાત્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચક્રવાત મોચા શરૂઆતમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ 11 મે સુધી પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ અને પછી ફરી ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોચા ચક્રવાત 10 મેના રોજ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં અને પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને 11 મે સુધીમાં આંદામાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જે બાદ, ચક્રવાત મોચા ધીમે ધીમે વળાંક લે છે અને બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે તેવી સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગે માછીમારો, બોટ અને નાની બોટોને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે. આ ચક્રવાતને મોચા નામ આપવામાં આવ્યું છે. આ નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્રના લોકોને સલામત સ્થળે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર આંદામાન સમુદ્રના લોકોને 9 મે પહેલા પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. 8 મે થી 12 મે સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પ્રવાસન, દરિયાકાંઠાની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.