વાવાઝોડા 'વરદાહ' ને કારણે ભારે નુકશાન, 2 ના મોત, 7000 લોકોનું સ્થળાંતર
વાવાઝોડા 'વરદાહ' ને કારણે એનડીઆરએફની તમિલનાડુમાં 7 અને આંધ્રપ્રદેશમાં 6 ટીમો મોકલવામાં આવી છે....
તમિલનાડુમાં વરદાહ વાવાઝોડાએ કેર વર્તાવ્યો છે. વાવાઝોડાને કારણે 2 લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 8 થી 12 કલાક સુધી તમિલનાડુમાં ભારે વરસાદની આશંકા છે.
તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાના દસ્તક બાદ હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. ઝડપી હવા અને વરસાદને કારણે લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. 'વરદાહ' ને પહોંચી વળવા માટે એનડીઆરએફની 7 ટીમો તમિલનાડુમાં અને 6 ટીમો આંધ્રપ્રદેશમાં મોકલી દેવામાં આવી છે. એનડીઆરએફ સહિત વાયુસેનાને પણ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
હવાની ગતિ 150 કિમી
હવામાન વિભાગ અનુસાર વરદાહ વાવાઝોડુ ચેન્નઇથી લગભગ 50 કિમી દૂર છે અને થોડા કલાક બાદ ત્યાં પહોંચી જશે. હાલમાં અહી હવાની ગતિ 150 કિમી/કલાક આસપાસ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફ સહિત તમામ સુરક્ષા એજંસીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 100 થી વધુ વૃક્ષો આ વાવાઝોડાને કારણે ઉખડી ચૂક્યા છે.
રેલ તેમજ વિમાન સેવા બંધ
વરદાહની ચેતવણીને કારણે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં રેલ તેમજ વિમાન સેવા બંધ કરી દેવામાં આવી છે અને તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ચેન્નઇની બધી ઉડાન રદ કરવામાં આવી છે.
આ પહેલા ગુરુવારે(8 ડિસેમ્બર) આ વાવાઝોડુ બંગાળની ખાડીમાંથી આવ્યુ અને અંદમાન નિકોબાર ટાપુઓ પર તેનો કેર વર્તાવ્યો. ત્યાં 2000 થી વધુ પ્રવાસીઓ વાવાઝોડાથી પ્રભાવિત હેવલોક અને નીલ આઇલેંડના વિસ્તારમાં ફસાઇ ગયા જ્યાંથી નેવી અને એરફોર્સે તેમને જહાજો અને હેલીકોપ્ટર દ્વાર બહાર કાઢ્યા.
હવામાન વિભાગે સંભાવના દર્શાવી હતી કે સોમવાર સુધી આ વાવાઝોડુ ચેન્નઇ પહોંચી જશે. ત્યારબાદ આને પહોંચી વળવા સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયુ હતુ. સ્થાનિક વાવાઝોડા કેન્દ્રના ડાયરેક્ટર એસ બાલચંદ્રનનું કહેવુ હતુ કે રવિવારની સવાર સુધી આ વાવાઝોડુ ચેન્નઇથી લગભગ 450 કિમી દૂર હતુ.
ચેન્નઇ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને વિલુપુરમ આ ચાર જિલ્લાથી 4,600 થી વધુ લોકો રાહત ચાવણીઓમાં સ્થળાંતર કરી ચૂક્યા છે. સાથે જ ઘોષણા કરવામાં આવી છે કે ચેન્નઇ એરપોર્ટ પર સાંજે 6 વાગ્યા સુધી બધી ઉડાનો રદ કરવામાં આવી છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર વાવાઝોડાની સૌથી ઓછી અસર ઓડીશામાં થશે. 'વરદાહ' બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વની ઉપરથી છેલ્લા 6 કલાકમાં 90 કિમીની ઝડપથી આગળ વધી રહ્યુ છે. આનું કેન્દ્ર ગોપાલપુરથી 1050 કિમી દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં છે. વાવાઝોડા 'વરદાહ' ને કારણે આંધ્રપ્રદેશના નેલ્લોર અને તમિલનાડુના ચેન્નઇમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે પ્રકાસમ, ગુંટુર અને અનંતપુરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.
તમિલનાડુના મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટી સાથે બેઠક યોજી હતી અને પ્રશાસનને પણ કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ કરી દીધા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ તેમની ગલ્ફ ટ્રીપ રદ કરીને દરિયાકાંઠાના જિલ્લા પ્રશાસન સાથે ટેલિફોનિક વાત કરી હતી. તમિલનાડુ સરકારે એક એડવાઇઝરી જારી કરીને ચેન્નઇની તમામ શાળા કોલેજો બંધ રાખવા સૂચના આપી છે.