આ જવાને બચાવ્યા હતા દલાઇ લામાના પ્રાણ, ફરી મળ્યા 58 વર્ષે
દલાઇ લામાએ આસામની રાજધાની ગુવાહાટીમાં આયોજિત નમામી બ્રહ્મપુત્ર કાર્યક્રમમાં 79 વર્ષીય નિવૃત્ત રાઇફલમેન નરેન ચંદ્ર દાસને સેલ્યૂટ કર્યું હતું.
તિબેટિયન ધર્મગુરૂ દલાઇ લામા હાલ ઉત્તર પૂર્વીય રાજ્યોની મુલાકાતે છે. રવિવારે તેમણે આસામ ની રાજધાની ગુવાહાટીમાં આયોજીત નમામી બ્રહ્મપુત્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે ભારતીય સેના ના નિવૃત્ત જવાનનો આભાર માન્યો હતો. આ સેના જવાન છે 79 વર્ષીય નરેન ચંદ્ર દાસ, જેઓ આસામ રાઇફલ્સ માંથી રિટાયર થઇ ચૂક્યાં છે.
કોણ છે નરેન ચંદ્ર દાસ?
રવિવારે નમામી બ્રહ્મપુત્ર કાર્યક્રમમાં પહોંચેલ દલાઇ લામાએ આસામ રાઇફલ્સના નિવૃત્ત જવાન નરેન ચંદ્ર દાસને સલામ કરી હતી. આ જોઇને આસપાસના ઘણા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા. સૌના મનમાં સવાલ હતો કે, આટલા મોટા ધર્મગુરૂ એક નિવૃત જવાનને શા માટે સેલ્યૂટ કરી રહ્યાં છે? આ નરેન ચંદ્ર દાસ એ જ જવાન છે, જેમણે દલાઇ લામાને તિબેટથી સુરક્ષિત નીકળવામાં મદદ કરી હતી. વર્ષ 1959માં નરેન અને તેમના ચાર સાથીઓએ દલાઇ લામાની મદદ કરી તેમને સુરક્ષિત તવાંગ પહોંચાડ્યા હતા.
ચીનના સૈન્યથી બચીને ભાગ્યા હતા દલાઇ લામા
વર્ષ 1959માં ચીનની સેનાએ લ્હાસામાં તિબેટ માટે ચાલી રહેલા સંઘર્ષને ખતમ કર્યો હતો. ત્યારે દલાઇ લામા ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યાર પછીથી દલાઇ લામા ભારતમાં નિર્વાસિત જીવન વિતાવી રહ્યાં છે. તેઓ હિમાચલ પ્રદેશ, ધર્મશાળામાં રહે છે. આજની તારીખમાં ધર્મશાળા જાણે તિબેટિયન રાજકારણનું કેન્દ્ર બની ગયું છે.
વર્ષો પહેલાની ક્ષણને યાદ કરી માન્યો આભાર
રવિવારે લગભગ 58 વર્ષ બાદ દલાઇ લામા રાઇફલમેન નરેન ચંદ્ર દાસને મળ્યાં, ત્યારે તેઓ આ બહાદુર જવાનને સલામ કર્યા વગર રહી ન શક્યાં. દલાઇ લામા તેમને ગળે મળ્યા તથા વર્ષો પહેલાની એ ક્ષણને યાદ કરી તેમનો આભાર માન્યો. વર્ષ 1959માં નરેન અરુણાચલ પ્રદેશના સીમાડાના વિસ્તારમાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન જ દલાઇ લામાને તિબેટની સીમાથી સુરક્ષિત ભારત લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નરેને પોતાની ફરજ ખૂબ સારી રીતે પૂરી કરી અને દલાઇ લામાને મૈકમોહન રેખાથી સુરક્ષિત ભારત લઇને આવ્યા.
58 વર્ષ પછી ફરી મળ્યા
દલાઇ લામાને ભારતીય સેનાની જે ટુકડી સુરક્ષિત ભારત લાવી, તેમાં અડધો ડઝન જવાનો સાથે કંપની કમાન્ડર પણ હતા. નરેન તે સમયે માત્ર 22 વર્ષના હતા, જ્યારે દલાઇ લામાની ઉંમર 23 વર્ષ હતી. આ ટુકડીમાંના નરેનના કેટલાક સાથીદારોનું મૃત્યુ થઇ ચૂક્યું છે, કેટલાક ગાયબ છે. નરેન ચંદ્ર દાસને આ કાર્યક્રમમાં મળ્યાં ત્યારે દલાઇ લામાએ કહ્યું કે, 'માર્ચ, 1959માં મને સીમા પારથી સુરક્ષિત લાવનાર આ સૈનિકને મળીને આજે હું અત્યંત ખુશ છું. તમે હવે નિવૃત્ત થઇ ચૂક્યા હશો. આજે તમને જોઇને હવે મને પણ લાગી રહ્યું છે કે, હું પણ વૃદ્ધ થઇ ચૂક્યો છું.'
નરેન ચંદ્ર દાસે પણ યાદ કર્યો એ પ્રસંગ
જવાન નરેન ચંદ્ર દાસે પણ એ પ્રસંગ યાદ કર્યો હતો, જ્યારે દલાઇ લામાએ પોતાની પહેલી રાત આંતરરાષ્ટ્રીય બોર્ડર લુમલામાં પસાર કરી હતી. ભારત સરકારના અધિકારીઓએ અહીં દલાઇ લામાનું સ્વાગત કર્યું હતું. નરેને જણાવ્યું કે, ત્યાર પછીની સવારે આસામ રાઇફલની વધુ એક ટીમ દલાઇ લામાની સુરક્ષા માટે હાજર થઇ હતી, તથા ત્યાંથી તેમના બોડીગાર્ડ તેમને લઇ તવાંગ જવા રવાના થઇ ગયા હતા. ત્યાર પછી શું થયું મને નથી ખબર. નરેને જાણકારી આપી હતી કે, હજારોની સંખ્યાંમાં લોકો તિબેટિયન બુમલાને રસ્તે ભારતમાં દાખલ થઇ રહ્યાં હતા. એ સમયે સીમાને પેલે પાર કોઇ ચીની નહોતા. ત્યારે આ તિબેટ હતું તથા ચીનની સીમા ઉત્તર ભારત નહીં, પરંતુ તિબેટની સીમાને અડીને શરૂ થતી હતી.
અહીં વાંચો