Corona Virus:કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિશ્રિત ડોઝ પર સંશોધનને DCGI ની મંજુરી!
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ કોરોનાની બે રસી કોવિશિલ્ડ અને કો વેક્સિનના મિશ્રિત ડોઝ પર રિસર્ચને મંજૂરી આપી છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ કોરોનાની બે રસી કોવિશિલ્ડ અને કો વેક્સિનના મિશ્રિત ડોઝ પર રિસર્ચને મંજૂરી આપી છે. આ અભ્યાસ અને તેના ક્લિનિકલ ટ્રાયલ તમિલનાડુના વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં થશે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની સમિતિએ 29 જુલાઇએ આ રિસર્ચની ભલામણ કરી હતી. જે બાદ હવે DCGI એ મંજૂરી આપી છે. અભ્યાસ દ્વારા તે રિસર્ચ થશે કે બે અલગ અલગ રસીના ડોઝથી કોઈ ફાયદો થશે કે નહીં.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તાજેતરમાં જ એક રિસર્ચ કર્યુ છે કે, જો કોઈ વ્યક્તિ કોવેક્સિનનો પ્રથમ ડોઝ અને બીજો ડોઝ કોવિશિલ્ડનો લે તો તે કેટલું સલામત છે? ICMR ના અભ્યાસમાં જણાવાયું છે કે એડેનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ આધારિત રસી અને ત્યારબાદ સંપૂર્ણપણે નિષ્ક્રિય વાયરસ રસીનું સંયોજન સલામત હતું અને તેનાથી સારી ઈમ્યૂનિટી આવી હતી. આ અભ્યાસ ICMR દ્વારા રસીઓના મિશ્રણ અને મેચિંગ અંગે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના પરિણામો ખૂબ જ સકારાત્મક દેખાયા છે. આ અભ્યાસમાં 300 હેલ્થ વોલન્ટિયર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ભારતે અત્યાર સુધીમાં પાંચ રસીઓને મંજૂરી આપી છે. ભારતમાં એસ્ટ્રાઝેનેકા, ઓક્સફોર્ડની કોવિશિલ્ડ, ભારત બાયોટેકની કો વેક્સિન, રશિયાની સ્પુટનિક વી, મોર્ડનાની રસી અને જોન્સન એન્ડ જોહ્ન્સનને મંજૂરી આપવામાં આવી છે. દેશમાં ભલે પાંચ રસીઓ મંજૂરી આપવામાં આવી હોય પરંતુ માત્ર બે રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં રસીકરણનું કામ જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે. શરૂઆતમાં, રસી પહેલા આરોગ્ય કર્મચારીઓને અને પછી વૃદ્ધોને આપવામાં આવી હતી. હવે દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવી રહી છે.