દિલ્હી ગેંગરેપના ગુનેગારે કહ્યું , મેં ગુનો કર્યો છે, મને ફાંસીએ ચઢાવો

મુકેશે પોતાનો ગુનો કબૂલ નહીં કરતા તેનો 14 દિવસની ન્યાયિક કેદમાં તિહાર જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુરુવારે તિહાર જેલમાં તેની ઓળખ પરેડ કરવામાં આવશે. જ્યારે અન્ય બે ગુનેગારોએ ઓળખ પરેડ માટેની ના પાડી છે. ગુનેગાર પવને ઓળખ પરેડમાં જવાની ના કહેતા જણાવ્યું હતું કે મેં જઘન્ય કૃત્ય કર્યું છે. જ્યારે વિનયે જણાવ્યું હતું કે તેણે છોકરીને નથી મારી માત્ર છોકરાને માર માર્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ગેંગરેપનો મુદ્દો આખાય દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મામલાને ગંભીરતાથી લેતા મુખ્યપ્રધાન શિલા દિક્ષીતે વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવ્યું છે. આ વિશેષ સત્રમાં દિલ્હીનાં કાયદા વ્યવસ્થા અંગે ચર્ચા થશે. કેબિનેટની આ મહત્વપુર્ણ બેઠકમાં દિલ્હીનાં પોલીસ કમિશનર નીરજ ગુપ્તાને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠક શિલા દિક્ષીતનાં ઘરે થઈ રહી છે.
આ કેસમાં દિલ્હી પોલીસની કાર્યવાહી સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. બીજીબાજુ રાજ્યસભામાં ગૃહપ્રધાન સુશિલ કુમાર શિંદેએ આ કેસની તપાસ એસઆઈટીને સોંપવાની જાહેરાત કરી છે. મેડિકલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર ખાનગી બસમાં ગેંગરેપની ઘટના અંગે દેશભરમાં રોષની લાગણી ફેલાઈ છે અને ઠેર ઠેર દેખાવો થઇ રહ્યા છે ત્યારે દિલ્હીમાં આજે મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતનાં સત્તાવાર નિવાસસ્થાનની બહાર દેખાવો કરતા લોકોને વિખેરવા પોલીસે પાણીનો મારો ચલાવ્યો છે અને ત્યારબાદ લાઠીમાર પણ કર્યો છે. દીક્ષિતના રાજીનામાની માગણીના નારા લગાવતા દેખાવકારોને દીક્ષિતનાં ઘર તરફ આગળ વધતા અટકાવવા પોલીસે બળનો ઉપયોગ કર્યો છે.












Click it and Unblock the Notifications
