દિલ્લી સરકાર તુગલકાબાદના લોકોના બચાવ અને પુનર્વસન માટે સતર્ક, ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ આપ્યા આ નિર્દેશ
કેન્દ્ર સરકારની એજન્સી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તુગલકાબાદ ગામમાં સૂચિત ડિમોલિશન ડ્રાઇવ અત્યંત ઘાતકી સાબિત થશે અને લાંબા ગાળે ત્યાં રહેતા લોકો પર ખૂબ પ્રતિકૂળ અસર કરશે તેમ ઉપ મુખ્યમંત્રી સિસોદિયાએ જણાવ્યુ.
દિલ્લી સરકાર તુગલકાબાદ ગામના રહેવાસીઓના બચાવ અને પુનર્વસન માટે સતર્ક થઈ ગઈ છે. આ દિશામાં ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મુખ્ય સચિવને પીડિતો માટે વહેલી તકે પુનર્વસન યોજના તૈયાર કરવા સૂચના આપી છે. ઉપ મુખ્યમંત્રીએ પીડિતોના પુનર્વસન માટે જમીનની ઓળખ કરવા અને પુનર્વસન યોજના તૈયાર કરવા એક સપ્તાહમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકારની એજન્સી, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા તુગલકાબાદ ગામમાં સૂચિત ડિમોલિશન ડ્રાઇવ અત્યંત ઘાતકી સાબિત થશે અને લાંબા ગાળે ત્યાં રહેતા લોકો પર ખૂબ પ્રતિકૂળ અસર કરશે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને દિવ્યાંગોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી લોકોનુ પુનર્વસન કર્યા વિના તોડફોડની કોઈ કાર્યવાહી કરવી જોઈએ નહિ.
મનીષ સિસોદિયાએ મુખ્ય સચિવને જમીન-માલિકી એજન્સી સાથે સંકલન કરવાનો નિર્દેશ આપ્યો. વધુમાં તેમણે કહ્યુ કે પીડિતોના પુનર્વસન માટે તેમના હાલના રહેઠાણની નજીકની જમીન નક્કી કરવી જોઈએ અને પીડિતો માટે વિગતવાર અને યોગ્ય પુનર્વસન યોજના તૈયાર કરવી જોઈએ. આ સાથે નાયબ મુખ્યમંત્રીએ મુખ્ય સચિવને એક સપ્તાહમાં પ્રગતિ અહેવાલ સુપરત કરવા સૂચના આપી છે.
કેન્દ્ર સરકારની એજન્સી આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયા તેની ડિમોલિશન ઝુંબેશના ભાગરૂપે તુગલકાબાદ ગામના 1000થી વધુ ઘરો પર બુલડોઝર ચલાવવાની છે. જેના કારણે આ મકાનોમાં રહેતા હજારો પરિવારો બેઘર બની જશે. દિલ્લી સરકારે આની ઝડપી નોંધ લેતા તેમના પુનર્વસન માટે યોજના બનાવવા સૂચના આપી છે. હકીકતમાં, પીડિતોએ આ સંદર્ભે દિલ્લી હાઈકોર્ટમાં અપીલ કરી છે અને હાઈકોર્ટે તમામ હિતધારક એજન્સીઓને તુગલકાબાદ ગામમાં તોડફોડના કારણે વિસ્થાપિત થયેલા પીડિતોના પુનર્વસન માટે યોગ્ય યોજના બનાવવાનો નિર્દેશ આપ્યો છે.












Click it and Unblock the Notifications
