દિલ્લી સરકારની નવી એક્સાઈઝ પૉલિસીની થઈ શકે છે CBI તપાસ, LGએ કરી ભલામણ
દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારની એક્સાઈઝ નીતિ અંગે સીબીઆઈ તપાસ થઈ શકે છે.
નવી દિલ્લીઃ દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકારની એક્સાઈઝ નીતિ અંગે સીબીઆઈ તપાસ થઈ શકે છે. દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) વીકે સક્સેનાએ આની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સાઇઝ પૉલિસી કેસમાં કથિત છેતરપિંડીની શક્યતાને ધ્યાનમાં રાખીને LGએ CBIને તપાસ માટે પત્ર લખ્યો છે.
દિલ્લીની નવી આબકારી નીતિમાં દારૂની દુકાનોના ટેન્ડરમાં ગેરરીતિના આક્ષેપો થયા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે દિલ્લી સરકારની નવી એક્સાઇઝ પૉલિસીમાં ઘણા નિયમોને અવગણીને ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. એલજી વિનય કુમાર સક્સેનાએ દિલ્લીના મુખ્ય સચિવના અહેવાલ બાદ સરકાર સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. આ રિપોર્ટમાં રાજ્ય સરકાર પર નિયમોની અવગણના કરવાની વાત કરવામાં આવી હતી.
મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ દિલ્લીની નવી એક્સાઈઝ નીતિઓને લઈને 'આપ' સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. આવી સ્થિતિમાં મુખ્ય સચિવના રિપોર્ટ બાદ દિલ્લીના લેફ્ટનન્ટ ગવર્નરે કેજરીવાલ સરકાર સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી જેને મોટી કાર્યવાહી માનવામાં આવે છે.