DUએ UGCને 3 વર્ષના ઓનર્સ કોર્સની દરખાસ્ત મોકલી, જવાબની રાહ
નવી દિલ્હી, 26 જૂન : દિલ્હી યુનિવર્સિટી અને યુજીસીની વચ્ચે એફવાયયુપીને લઇને ચાલી રહેલો વિવાદ ટૂંક સમયમાં ઉકેલાઇ જાય તેવા સંકેત મળી રહ્યા છે. આ અંગે દિલ્હી યુનિવર્સિટીના પીઆરઓ મલય નીરવે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે એફવાયયુપીમાં કેટલાક ફેરફાર કરીને અન્ડર ગ્રેજ્યુએટ કોર્સને ત્રણ વર્ષનો કરવા વિચાર કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે 'અમે આ બાબતમાં યુજીસીને બુધવારે રાત્રે મોકલેલી ચિઠ્ઠીના જવાબમાં અમારી દરખાસ્ત યુજીસીને મોકલી આપી છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં યુજીસી આ સંબંધમાં બેઠક યોજશે.'
ઉપકુલપતિને ગઇ કાલે (બુધવારે) યુજીસીની ચિઠ્ઠી મળી હતી. અમારું માનવું છે કે જુના કોર્સમાં પૂરક વ્યવસ્થા જોડી શકાય છે. પરિવર્તન અંગે શિક્ષણવિદોના સૂચનો લઇ શકાય છે. એફવાયયુપીમાં થોડોઘણો ફેરફાર કરીને ઓનર્સ કોર્સને ત્રણ વર્ષનો કરી શકાય છે. જો યુજીસી આ દરખાસ્ત માને છે તો પ્રવેશ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરી શકાશે. વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કે રજીસ્ટ્રેશન કરવાની જરૂર રહેશે નહીં. અમારું માનવું છે કે બીટેક કોર્સ ચાર વર્ષનો રાખવામાં આવે. આ માટે અમને યુજીસીનો જવાબ આવવાની રાહ છે. જવાબ આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
યુજીસી તરફથી બુધવારે રાત્રે દિલ્હી યુનિવર્સિટીને કડક આદેશ આપવામાં આવ્યો કે કોલેજો ગુરુવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે. માહિતી મળે છે તે મુજબ દિલ્હી યુનિવર્સિટીની 64માંથી 57 કોલેજો ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન કોર્સમાં પ્રવેશ માટે તૈયાર છે. પરંતુ જ્યારે કોલેજોના આચાર્યોને આ અંગે તેમનો મત પૂછવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તેઓ પોતે કન્ફ્યુઝ છે કે કયા કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની છે. દિલ્હી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા 24 જૂનથી શરૂ કરવાની હતી.