Karnataka Election : કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને ડીકે શિવકુમારે ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?
કર્ણાટક વિધાનસભા ચૂંટણી આગામી 10 મેના રોજ યોજાશે અને ચૂંટણી પરિણામ 13 મેના રોજ જાહેર થશે. કર્ણાટકમાં મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે તેના 42 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જો કે કોંગ્રેસે મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસ દ્વારા ખુલાસો કર્યો નથી.
હાલ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને ખેંચતાણ ચાલી રહી છે અને પાર્ટીમાં મુખ્યમંત્રી પદ માટે બે પ્રબળ દાવેદાર છે, એક સિદ્ધારમૈયા અને બીજા ડીકે શિવકુમાર. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સીએમ પદને લઈને કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચે ટક્કર છે.

જો કે સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તે સીએ પદના સાચા દાવેદાર છે. બીજી તરફ ડીકે શિવકુમારે સીએમ પદને લઈને પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે. મુખ્યમંત્રી કોણ હશે તે અંગે કોંગ્રેસમાં વિવાદ મુદ્દે તેમણે તેમના તાજેતરના ઇન્ટરવ્યુમાં જવાબ આપ્યો છે.
શિવકુમારે કહ્યું કે હું પાર્ટીનો વફાદાર વ્યક્તિ રહ્યો છું, ક્યારેય પાર્ટી સાથે દગો કર્યો નથી અને જો 2023ની ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે તો પાર્ટી હાઈકમાન્ડ એવા લોકોને પુરસ્કાર આપવાનું ધ્યાન રાખશે જે મુશ્કેલ સમયમાં પાર્ટી સાથે ઉભા રહ્યા છે. શિવકુમારે કહ્યું કે હું ઉંઘ્યો નથી અને રાજ્યના ખૂણે-ખૂણે ફર્યો છું. અમે ભાજપ સામે મજબૂત સંગઠન અને સંયુક્ત મોરચો બનાવ્યો છે.
અહીં શિવકુમારે પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સાથેના તેમના ઝઘડા અને ટક્કરના અહેવાલોને પણ રદીયો આપ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભાજપ તેમનામાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ખોટી અફવાઓ ફેલાવવા માટે મીડિયાના એક વર્ગને દોષિત ઠેરવ્યા અને કહ્યું કે અમે બધા સાથે છીએ. બીજેપીને હરાવવા અને કર્ણાટકની ગરિમાને પુનઃસ્થાપિત કરવાનું અમારું એક સમાન લક્ષ્ય છે.
બીજેપી પર પ્રહાર કરવા સિવાય ડીકે શિવકુમારે પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની આગેવાની હેઠળના જનતા દળ (સેક્યુલર) સાથે સરકાર બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગઠબંધનનો કોઈ પ્રશ્ન જ નથી અને JDSએ જનાદેશ વિના ભાજપ સાથે હાથ મિલાવીને બે વખત લોકોને છેતર્યા છે.












Click it and Unblock the Notifications
