નરેન્દ્ર મોદીની ભાજપના નેતાઓને કડક સૂચના; આસારામને પક્ષ લેવો નહીં
નવી દિલ્હી, 29 ઓગસ્ટ : આસારામ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ચૂપકીદીને કારણે અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જો કે હવે નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતે તો આસારામનો બચાવ કરતા જ નથી પરંતુ એવું પણ ઇચ્છે છે કે ભાજપના એક પણ નેતા આસારામનો પક્ષ લે નહીં.
આસારામ પર 16 વર્ષની કિશોરીના શારીરિક શોષણનો આરોપ છે. આ આરોપ અંતર્ગત જયપુરની કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ ઘટના બાદ ભાજપના કેટલાક નેતાઓ આસારામની તરફેણમાં બોલી રહ્યા હતા. જેના પગલે નરેન્દ્ર મોદીએ પાર્ટીના તમામ નેતાઓને કડક સૂચના આપી દીધી છે.
આ મુદ્દે નરેન્દ્ર મોદીએ પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે પણ વાતચીત કરી છે. તેમણે રાજનાથ સિંહ સાથે ચર્ચા કરીને આશ્વાસન માંગ્યું છે કે આજ પછી પાર્ટીના એક પણ નેતા આસારામ વિશે કોઇ પણ પ્રકારની વાત કરી નહીં અને તેમની તરફેણ કરે નહીં.
નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતાઓને સમજાવ્યા છે કે અત્યારે આ કેસમાં તપાસ ચાલી રહી છે. આસારામના મામલે કાયદો પોતાનું કામ કરશે. આથી વધારે કશું પણ કહેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે રાજ્યસભા સાંસદ પ્રભાત ઝાએ 27 ઓગસ્ટના રોજ આસારામના કેસને કોંગ્રેસની જાણી જોઇને ઘડેલી ચાલ ગણાવી હતી. આ પહેલા 22 ઓગસ્ટના રોજ ઉમા ભારતીએ પણ આસારામનો પક્ષ લીધો હતો.
માનવામાં આવે છે કે આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીને પાર્ટીની છબીની ચિંતા છે. તેમનું માનવું છે કે એક પણ મુદ્દે નાગરિકોને લાગવું ના જોઇએ કે ભાજપ અન્યાયી અને અપરાધીઓને સાથ આપી રહી છે.