51 હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે PM મોદીને લખ્યો પત્ર
રોહિંગ્યા શરણાર્થી: 51 હસતીઓએ લખ્યો પીએમ મોદીને ખુલ્લો પત્ર, રોહિંગ્યા શરણાર્થીઓને પરત ન મોકલો
દેશની 51 જાણીતી હસતીઓએ રોહિંગ્યા શરણાર્થીઓ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં અપીલ કરી છે કે, મ્યાનમારમાં થઇ રહેલ હિંસા વચ્ચે રોહિંગ્યા શરણાર્થીઓને પરત મોકલવામાં ન આવે. આ માટે રોહિંગ્યા વિરુદ્ધ થઇ રહેલ હિંસા અને અત્યાચારોનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. આ પત્રમાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલ 51 લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ પત્ર પર શશી થરૂર, યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, પૂર્વ ગૃહમંત્રી જી.કે.પિલ્લઈ, પૂર્વ કેન્દ્રિય મંત્રી પી. ચિદંબરમ, એક્ટિવિસ્ટ તીસ્તા શીતલવાડ, પત્રકાર કરન થાપર, સાગરિકા ઘોષ, અભિનેત્રી સ્વરા ભાસ્કર જેવી હસતીઓએ હસ્તાક્ષર કર્યા છે.
આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'રોહિંગ્યા શરણાર્થીઓ ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે જોખમરૂપ બની શકે છે, એવો તર્ક આપવો યોગ્ય નથી. આ તર્ક ખોટો છે. આવું કંઇ નથી અને આ માટે જે તથ્યો આપવામાં આવી રહ્યાં છે, એ આધારહીન છે. કલમ 21 દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર આપે છે, ભલે તે ગમે તે દેશનો નાગરિક હોય. વિદેશી નાગરિકોને સુરક્ષા આપવી, એ દેશની બંધારણીય જવાબદારી છે. અમે ભારતીય નાગરિક હોવાના હકે તમને અપીલ કરીએ છીએ કે, ભારત આ મુદ્દે નવી અને મજબૂત વિચારસરણી સાથે સામે આવે. એક વિકસતા વૈશ્વિક શક્તિશાળી દેશ પાસે આ જ આશા રાખવામાં આવે છે. આથી માત્ર રોહિંગ્યા મુસલમાનોની સમસ્યા પર ધ્યાન ન આપી, મ્યાનમારમાં તેમના વિરુદ્ધ થતી હિંસા પર પણ વિચાર કરવામાં આવે, જેના કારણે તેઓ પોતાના દેશમાંથી ભાગવા માટે મજબૂર થયા હતા.'