મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે, વડાપ્રધાન મોદી ઉપરાંત આ નેતાઓ સાથે મુલાકાત કરશે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાંચ દિવસના દિલ્હી પ્રવાસે છે. બંગાળમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી આ પહેલીવાર છે, જ્યારે મમતા દિલ્હી પ્રવાસ પર છે. આજે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાંચ દિવસના દિલ્હી પ્રવાસે છે. બંગાળમાં ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી આ પહેલીવાર છે, જ્યારે મમતા દિલ્હી પ્રવાસ પર છે. આજે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. આ ઉપરાંત મમતા કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓને પણ મળવાના છે.
ટીએમસી દ્વારા જાહેર કરાયેલ મમતાના દિલ્હી પ્રવાસના સમયપત્રક મુજબ મમતા બેનર્જી મંગળવારે સાંજે 4 વાગ્યે વડા પ્રધાનને મળશે. આ સિવાય તે બુધવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને પણ મળી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસના ત્રણ નેતા કમલનાથ, આનંદ શર્મા અને અભિષેક મનુ સિંઘવીના નામ પણ શામેલ છે, જેમની સાથે મમતાની મુલાકાત થનાર છે. મમતા બેનર્જીની દિલ્હી મુલાકાતને 2024 ની લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહી છે અને તે ભાજપ સામે રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી નેતાઓને એક કરવા પ્રયાસ કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીઓ જીત્યા બાદ સતત ત્રીજી વાર પશ્ચિમ બંગાળની સત્તા સત્તા સંભાળ્યા બાદ મમતા બેનર્જીની આ પહેલી દિલ્હી મુલાકાત છે.
સંસદના ચોમાસા સત્ર દરમિયાન દિલ્હી પહોંચેલી મમતા બેનર્જી અન્ય વિપક્ષી દળના નેતાઓને પણ મળી શકે છે. તેમાં એનસીપી ચીફ શરદ પવારનું નામ શામેલ છે. આ સિવાય તે દિલ્હીમાં તેમના પક્ષના સાંસદોને પણ મળવા જઈ રહી છે. ટીએમસી સૂત્રોએ જણાવ્યું હતું કે 26-30 જુલાઇની મુલાકાત દરમિયાન મમતા બેનર્જી સંસદની મુલાકાત પણ લઈ શકે છે, જ્યાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે.
બીજી તરફ મમતા બેનર્જીના દિલ્હી પ્રવાસ પર નિશાન સાધી બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે, બંગાળના મુખ્યમંત્રી નકલી રસીકરણ શિબિર કેસ, મતદાન પછીની હિંસા અને અન્ય મુદ્દાઓ પર ટીકાઓનો સામનો કરી રહ્યા છે અને આને ટાળવા માટે તે રાજ્યની બહાર જઈ રહી છે. દિલીપ ઘોષે દાવો કર્યો હતો કે વિપક્ષી પાર્ટીઓને એક કરવા મમતાનું મિશન કોઈપણ રીતે સફળ થવાનું નથી. અગાઉ પણ તેમણે મમતા પર નિશાન સાધતા કહ્યું હતું કે ટીએમસી નેતાઓએ બંગાળની તિજોરી લૂંટી લીધી છે અને હવે મમતા બેનર્જી દિલ્હીમાં વડા પ્રધાન પાસે ભીખ માંગવા જઈ રહી છે.