Earthquake: મહારાષ્ટ્ર, હિમાચલ અને મણિપુરમાં ભૂકંપના ઝટકા, 33 મિનિટમાં 3 રાજ્યોમાં ધરતી કાંપી
દેશમાં મોડી રાતે 33 મિનિટમાં 3 રાજ્યોમાં ભૂકંપના ઝટકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આવો જાણીએ કયા રાજ્યોમાં કેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો.
Earthquake in 3 states: મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ અને મણિપુરમાં મોડી રાતે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. 33 મિનિટમાં ત્રણ રાજ્યોની ધરતીમાં કંપન થયુ છે. રાતે 11 વાગીને 28 મિનિટે મણિપુરના ચંદેલમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1. આંકવામાં આવી. તેનુ કેન્દ્ર 93 કિલોમીટર ઉંડાણમાં હતુ. ત્યારબાદ 11.30 વાગે હિમાલચલ પ્રદેશના ચંબામાં ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા 2.8 માપવામાં આવી હતી. અહીં ભૂકંપનુ કેન્દ્ર પાંચ કિલોમીટર ઉંડાણમાં હતુ.
ત્યારબાદ રાતે 12 વાગીને 1 મિનિટે મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 માપવામાં આવી હતી. તેનુ કેન્દ્ર 5 કિલોમીટર ઉંડાણમાં હતુ. ત્રણ રાજ્યોમાં આવેલા આ ભૂકંપથી કોઈને જાનહાનિના સમાચાર નથી. આ ઉપરાંત આની થોડી વાર પહેલા મ્યાનમારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.7 હતી. આનુ કેન્દ્ર 95 કિલોમીટર ઉંડાણમાં હતુ.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ઈંડોનેશિયામાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે કોઈ જાનહાનિના સમાચાર નહોતા. ઈંડોનિશિયાની રાજધાની જાકાર્તા અને જાવાના વિવિધિ ભાગોમાં સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જાકાર્તામાં બહુમાળી ઈમારતો ઘણી સેકન્ડ સુધી હલતી રહી. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. તેનુ કેન્દ્ર જાવા પ્રાંતના સિરંજંગ-હિલિરથી 14 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં 123.7 કિલોમીટરના ઉંડાણમાં હતુ.
પશ્ચિમ જાવા એ જ પ્રાંત છે જ્યાં 21 નવેમ્બરે સિઆનજુર શહેરમાં 5.6-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 334 લોકો માર્યા ગયા હતા અને લગભગ 600 અન્ય ઘાયલ થયા હતા. 2018ના ભૂકંપ અને સુનામી પછી તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર ભૂકંપ હતો જેમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા. તેની ઊંડાઈ પણ વધારે ન હતી. ઈન્ડોનેશિયા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. જો કે, તેના આંચકા જકાર્તામાં ભાગ્યે જ અનુભવાય છે.