દિલ્લી-NCRમાં મોડી રાતે ભૂકંપના ઝટકા, તીવ્રતા 6.3, કેન્દ્રબિંદુ નેપાળમાં છના મોત
દિલ્લી-એનસીઆરમાં મંગળવારે મોડી રાતે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે.
નવી દિલ્લીઃ દિલ્લી-એનસીઆરમાં મંગળવારે મોડી રાતે ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપના કારણે ડરીને લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપનુ કેન્દ્રબિંદુ નેપાળ છે. જેમાં છેલ્લા અમુક કલાકોમાં આ બીજો ભૂકંપ છે. દિલ્લી સાથે નોઈડા અને ગુરુગ્રામમાં પણ ઘણી સેકન્ડ સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ નેપાળમાં એક ઘર પડી જવાથી છ લોકોના મોત નીપજ્યા છે.

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે અને નેપાળમાં ધરતીના 10 કિલોમીટર નીચે આનુ કેન્દ્ર જણાવ્યુ છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલોજી દ્વારા જાહેર કરાયેલા ટ્વીટમાં કહેવામાં આવ્યુ છે કે, '8 અને 9 નવેમ્બર દરમિયાનની રાતે 1:57 વાગે આવેલા આ ભૂકંપની તીવ્રતા 6.3 હતી અને તેની અસર ભારત ઉપરાંત નેપાળ અને ચીનમાં જોવા મળી હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ 10 કિમીની ઊંડાણમાં હતુ.
અડધી રાતે ભૂકંપના ઝટકા અનુભવતા ડરના માર્યા લોકો પોતાના ફ્લેટ્સ અને સોસાયટીઓમાંથી બહાર નીકળી ગયા હતા. લોકો રસ્તા પર આવી ગયા હતા. બિલ્ડિંગો હલતી હતી અને બેડ હલતા હતા તેમ લોકોએ પોતાના અનુભવો શેર કર્યા હતા. ઉંચા ફ્લેટોમાં ભૂકંપના કંપનના કારણે સામાન પણ હલવા લાગ્યો હતો. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પોતાનો અનુભવ શેર કર્યા હતા. ભૂકંપના અડધા કલાકમાં #earthquake ટ્વિટર પર 20,000થી વધુ ટ્વિટ્સ સાથે ટ્રેન્ડ કરવાનુ શરૂ કર્યુ. કેટલાક લોકોએ ટ્વીટ કર્યુ કે તેમને આટલો જોરદાર ભૂકંપ ક્યારેય અનુભવાયો નથી.
આ પહેલા મંગળવારે રાતે 8.52 કલાકે લખનઉ સહિત યુપીના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. વળી, મંગળવારે નેપાળમાં 24 કલાકની અંદર આ ત્રીજો ભૂકંપ હતો. યુપીના લખનઉ, મુરાદાબાદ, મેરઠ બરેલી વગેરેમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. NCRના ફરીદાબાદ, ગુરુગ્રામ, ગ્રેટર નોઈડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે રાહતની વાત એ છે કે આ સ્થળોએથી કોઈ જાનહાનિના સમાચાર નથી.












Click it and Unblock the Notifications
