નવી દિલ્હી, 6 મેઃ બુધવારે માત્ર અમેઠી જ નહીં પરંતુ ફૈઝાબાદ અને યુપીની કુલ 15 બેઠકો પર મતદાન થવાનું છે. ભાજપે યુપીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે પુરજોશમાં પ્રયાસો કર્યા છે. કદાચ ધ્રુવીકરણના આ પ્રયાસોમાં ભાજપને રામનું નામ યાદ આવી ગયું. સોમવારે ફૈઝાબાદમાં મોદીની રેલીના મંચ પાછળ રામની તસવીર લાગેલી હતી. કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છેકે ભાજપ પ્રચારમાં ધાર્મિક પ્રતિક ચિન્હોનો ઉપયોગ કરી રહ્યો છે, પંચે ફૈઝાબાદના ભાજપના ઉમેદવાર પાસે જવાબ માંગ્યો છે.
મોદી ફૈઝાબાદમાં હતા, પરંતુ તેમના મંચ પર રામ પણ હતા, માત્ર મંચ પર જ નહીં પરંતુ તેમના ભાષણોમાં પણ રામનું નામ જ જોવા મળી રહ્યું હતું. ભલે ભાજપના ઢંઢેરામાં રામ મંદિરના નિર્માણની વાત માત્ર એક જ લાઇનમાં કરવામાં આવી હોય પરંતુ મોદીના મંચ પર રામની તસવીર સાથે અયોધ્યામાં પ્રસ્તાવિત મંદિરનું મોડલ પણ બનેલું હતું. જો કે, મોદીએ જાતે તો રામ મંદિરનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેમણે રામ રાજ્યની ગાથાઓ ઘણી સંભળાવી હતી.
ફૈઝાબાદમાં બુધવારે મતદાન છે, ગત ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત હાંસલ કરી હતી. તો જે રામ મુદ્દાને ગઇ ચૂંટણીમાં ફૈઝાબાદે દરકિનાર કર્યો હતો તે મોદીના મંચ પર ફરી એકવાર જોવા મળ્યો. કોંગ્રેસ કહી રહી છેકે ભાજપે પોતાની દબાયેલી ઇચ્છાને જાહેર કરી છે. કોંગ્રેસે મોદી પર ચૂંટણી ફાયદા માટે ધાર્મિક પ્રતિકોના ઉપયોગનો આરોપ લગાવ્યો છે. મોદીના મંચને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવી રહી છે.
ચૂંટણી પંચે આ ભાષણનો વીડિયો ફૂટેજ મંગાવ્યો છે અને મોદી પર રેલીમાં ધાર્મિક પ્રતિકોના ઉપયોગનો મામલો બની શકે છે. હવે ચૂંટણી પંચ નક્કી કરશે કે મોદીએ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છેકે નહીં, જો ઉલ્લંઘન સાબિત થશે તો તે મોદી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે, તેમ છતાં હાલ તો ભાજપ અને મોદી એ સંકેત આપવામાં પૂરા પ્રયત્નો કરી રહ્યાં છેકે રામ અને રામ મંદિર મુદ્દાથી તેઓનું અંતર નથી.