નરેન્દ્ર મોદીને વારાણસીમાં આરતી અને સભા યોજવા મંજુરી મળી
વારાણસી, 7 મે : ભાજપના ઉહાપોહ અને વિરોધ પ્રદર્શનની ચીમકીને પગલે હવે ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીને ગંગા આરતી કરવા ઉપરાંત રોહનિયા અને બનિયાબાગમાં ચૂંટણી સભા યોજવાની મંજુરી આપી દીધી છે. આ કારણે હવે નરેન્દ્ર મોદીના 8 મેના તમામ કાર્યક્રમો યથાવત રહેશે.
આ ઘટનાક્રમમાં ચૂંટણી પંચ દ્વારા નરેન્દ્ર મોદીને ચૂંટણીસભા યોજવાની મંજુરી નહીં આપનાર અધિકારીને બરતરફ કરવામાં આવે તેવી માંગણી પણ ભાજપે કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે ગુરુવાર 8 મે, 2014ના રોજ વારાણસીના અસ્સી ઘાટમાં પૂજા કરીને બે રેલીઓને સંબોધવાના હતા. પરંતુ સ્થાનિક ચૂંટણી વહીવટી અધિકારીએ તેમને ગંગા ઘાટ પર આરતી કરવાની અને બનિયાબાગમાં ચૂંટણી સભા યોજવાની ના કહી હતી. આ માટે જગ્યા ખૂબ સાંકડી હોવાનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું. જેના પગલે વારાણસીમાં આવતીકાલે મોદીની રેલી થશે કે કેમ તે પ્રશ્ને ચર્ચા જગાવી હતી.
વહીવટી તંત્ર તરફથી ચૂંટણી સભા યોજવાની મંજુરી આપવા મુદ્દે થઇ રહેલા વિલંબ સામે ભાજપે પ્રશ્નો ઉઠાવ્યા હતા.કારણ કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતે વારાણસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના અંતિંમ તબક્કા માટેના અંતિમ પ્રચાર માટે આ પ્રચાર અતિ મહત્વનો માનવામાં આવે છે.
નરેન્દ્ર મોદી જ્યારે વારાણસીમાં પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કરવા આવ્યા હતા, ત્યારે હજારોની ભીડે તેમનું ઐતિહાસિક સ્વાગત કર્યું હતું. જોકે તેના પગલે સામાન્ય જનવ્યવહાર પણ ખોરવાયો હતો. સુરક્ષા જવાનોએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
