Karnataka Election : સ્ટાર પ્રચારક અને પાર્ટીઓ ભાષા પર સંયમ રાખે, ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરી
કર્ણાટકમાં ચૂંટણી જીતવા માટે મેદાને પડેલી બીજેપી અને કોંગ્રેસ વચ્ચે હવે ચૂંટણી નિવેદનો ઝેરી બની રહ્યા છે. બન્ને પાર્ટીના નેતાઓ હવે હદ પાર કરીને ગમે તેવા નિવેદનો આપી રહ્યા છે ત્યારે ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરવી પડી છે.
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર વચ્ચે ઈલેક્શન કમિશને એડવાયઝરી જારી કરીને નેતાઓને સંયમ રાખવા કહ્યું છે. સતત ઝેરીલા નિવેદનો અને લોકોને ભટકાવી રહેલા નેતાઓને કંટ્રોલ કરવા ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે. ચૂંટણી પ્રચારના નીચે જઈ રહેલા સ્તરને જોતા પક્ષોને સંયમ રાખવા કહેવાયુ છે.

ચૂંટણી પંચે એડવાઈઝરીમાં કહ્યું છે કે ભડકાઉ નિવેદનોને લઈને પક્ષો તરફથી ફરિયાદો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકોને પ્રચાર દરમિયાન તેમના શબ્દો અને ભાષા પર સંયમ રાખવા સૂચના આપી છે, જેથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ બગડે નહીં.
ચૂંટણી પંચે મુખ્ય ચૂંટણી અધિકારીને જારી કરાયેલ એડવાઈઝરીને અનુસરવા અને આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે તુરંત પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝેરી સાપ કહ્યા હતા.
આ નિવેદન બાદ બીજેપી નેતા બાસનગૌડા પાટીલ યાતનાલે સોનિયા ગાંધીને વિષ કન્યા કહી હતી. આ સાથે જ બીજેપી અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. હવે ચૂંટણી કમિશને એડવાયઝરી જારી કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો માટે 10 મેના રોજ ચૂંટણી યોજાશે અને 13 મેના રોજ પરિણામ આવશે. કર્ણાટકમાં ચૂંટણી માટે બીજેપી, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
