Election Result: મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડમાં ચૂંટણી પરિણામો પહેલા જાણો આ મહત્વની વાતો
ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી બાદ આજે તમામની નજર પરિણામો પર છે. ચૂંટણી પરિણામો પહેલા જાણો આ મહત્વની વાતો.
Election Result: ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ચૂંટણી બાદ આજે તમામની નજર પરિણામો પર છે. આજે ત્રણેય રાજ્યોમાં 8 વાગ્યે મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં રાજ્યમાં કોની સરકાર બનશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ત્રણેય રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. ત્રિપુરાની વાત કરીએ તો બીજેપી અહીં ફરી એકવાર સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહી છે. 2018માં ભાજપે અહીં ડાબેરી શાસનને સત્તામાંથી બહાર ફેંકી દીધું હતું. આવી સ્થિતિમાં પાર્ટીને આશા છે કે ફરી એકવાર તેને અહીં જીતનો સ્વાદ ચાખવા મળશે. ત્રિપુરામાં પહેલીવાર કોંગ્રેસ અને ડાબેરીઓએ ભાજપને હરાવવા માટે ગઠબંધન કર્યુ છે.

આજે ત્રણેય રાજ્યોમાં પરિણામ આવતા પહેલા જાણો આ મહત્વની વાતો
- ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. અહીં રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે પરંતુ આ બધાની વચ્ચે પ્રદ્યોત દેબબર્માના નેતૃત્વમાં ટીપ્રા મોથાએ રાજ્યમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. પાર્ટીએ આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત કરીને ચૂંટણીના અંકગણિતમાં ફેરફાર કર્યો છે. ભાજપ અને તેના સહયોગી આઈએફએફટી આ અવરોધને પાર કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.
- 2018ની ચૂંટણીમાં, ભાજપે ત્રિપુરામાં 60માંથી 36 બેઠકો જીતી હતી, જ્યારે IPFTએ 8 બેઠકો જીતી હતી. આઈપીએફટીના સ્થાપક એનસી દેબબર્માના નિધન બાદ પાર્ટીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ચૂંટણીના પરિણામોનું ભારણ મુખ્યત્વે ભાજપ પર છે. જ્યારે ભાજપના વિરોધ પક્ષોએ ચૂંટણીમાં એકતા દાખવી છે.
- મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. બંને રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ છે. પરંતુ ભાજપે બંને રાજ્યોમાં જોરદાર પ્રચાર કર્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી અને રાજ્યમાં ભાજપના મૂળિયા મજબૂત કરવાનું કામ કર્યુ.
- ભાજપે પ્રથમ વખત મેઘાલયની તમામ 60 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને દરેક ચૂંટણી પ્રચારમાં નેશનલ પીપલ્સ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે કોનરાડ સંગમાને પણ ખૂબ નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર પણ ગણાવી હતી. રસપ્રદ વાત એ છે કે, ભાજપ એનપીપી સાથે રાજ્યમાં સરકારમાં હતી, પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા.
- કોનરાડ સંગમા વિરુદ્ધ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ ખૂબ જ આક્રમક હતું, પરંતુ આજે યોજાનારી મતગણતરી પહેલા કોનરાડ સંગમાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે મુલાકાત કરી છે.
- મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ સૌથી નજીકની હરીફાઈ મેઘાલયમાં જોઈ શકાય છે. તમામ એક્ઝિટ પોલે અહીં ત્રિશંકુ વિધાનસભાની આશા વ્યક્ત કરી છે. એનપીપીને 20 બેઠકો મળવાની ધારણા છે જ્યારે ભાજપ અહીં 2 થી 6 બેઠકો લઈ શકે છે. પરંતુ મમતા બેનર્જીની ટીએમસી રાજ્યમાં 11 સીટો જીતી શકે છે.
- નાગાલેન્ડમાં ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે અહીં કોઈ વિરોધ પક્ષ નથી. અહીં તમામ પક્ષોએ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું છે. ભાજપે પ્રાદેશિક પક્ષો સાથે મળીને આ ગઠબંધન કર્યું છે. બીજેપી ફરી એકવાર NDPP ગઠબંધન સાથે અહીં ચૂંટણી લડી રહી છે.
- આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા નહીં હોય, ભાજપની આગેવાની હેઠળની NDA ત્રણેય રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવશે.
- ત્રિપુરામાં રેકોર્ડ 87.76 ટકા, નાગાલેન્ડમાં 85.90 ટકા અને મેઘાલયમાં 85.27 ટકા મતદાન નોંધાયું હતું.
- ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો આ દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તેના પરિણામો આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર નોંધપાત્ર અસર કરી શકે છે.












Click it and Unblock the Notifications
