Rajasthan Assembly Election 2023: રાજસ્થાનમાં શરૂ થઇ આંસુની રાજનીતિ, રડતા રડતા ઉમેદવારો માંગી રહ્યા છે વોટ
Rajasthan Assembly Election 2023: રાજસ્થાન ચૂંટણી 2023માં મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વચ્ચે તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર કરવામાં વ્યસ્ત છે.
રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરના રોજ મતદાન થશે. જેનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ માટે તમામ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પણ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે ઉમેદવારોની ભાવનાત્મક રમત પણ જોવા મળી રહી છે જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અત્યાર સુધી ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર સભાઓમાં રડતા ઉમેદવારોના અનેક નિવેદનો સામે આવ્યા છે. જેમાં કોઈ સભાને સંબોધિત કરતી વખતે ભાવુક થઈ જાય છે, તો કોઈ જૂની વાતો યાદ કરીને આંસુ વહેવા લાગે છે.
રવિ નય્યર રાજ્યની રાજધાની જયપુરની આદર્શ નગર વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કોંગ્રેસના રફીક ખાન સામે ચૂંટણી લડી રહ્યા છે, જેઓ હાલમાં ધારાસભ્ય છે. ભાજપના ઉમેદવાર રવિ નય્યરે શુક્રવારના રોજ પ્રેસ કોન્ફરન્સમાં ગાયોના મોતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ દરમિયાન રવિ નય્યર ભાવુક થઈ ગયો હતો. રડતા રડતા રવિ નય્યરે ગાયોના મોત માટે વિપક્ષને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે, જ્યારથી મને ટિકિટ મળી છે, ત્યારથી મારી સાથે અનેક ઘટનાઓ બની રહી છે. મારી માતા સમાન ગાયની હત્યા કરવામાં આવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ મામલામાં સનાતન વિરોધી લોકોનો હાથ છે, જેની તપાસ થવી જોઈએ.
તેવી જ રીતે જયપુરના માલવિયા નગર વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર અર્ચના શર્મા ચૂંટણી પ્રચાર માટે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન તે કાર્યક્રમને સંબોધિત કરતી વખતે રડી પડી હતી. ચૂંટણી જીતવાની અપીલ કરતાં તેણીએ જણાવ્યું કે, તે હજુ પણ છેલ્લી બે હારને ભૂલી શકી નથી. જો હું આ વખતે હારીશ, તો મારા જીવનનો અંત આવી જશે. આટલું કહીને અર્ચના શર્મા રડવા લાગી.
ઉલ્લેખની છે કે, માલવિયા સીટ પર અર્ચના શર્મા સામે ભાજપના દિગ્ગજ નેતા કાલીચરણ સરાફ ચૂંટણી મેદાનમાં છે. પુષ્પેન્દ્ર ભારદ્વાજ રાજધાની જયપુરની સાંગાનેર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સ્પર્ધા ભાજપના ભજનલાલ શર્મા સાથે છે. પુષ્પેન્દ્ર ભારદ્વાજ સભાઓ દ્વારા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન સભામાં ભાષણ આપતી વખતે પુષ્પેન્દ્ર ભારદ્વાજ સ્ટેજ પર જ રડી પડ્યા હતા. જનતાને સંબોધતા તેઓ ભાવુક થઈ ગયા હતા.












Click it and Unblock the Notifications
