કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકીઓ સાથે અથડામણ ચાલુ, એક આતંકી ઠાર
કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે સુરક્ષાબળોનુ ઑપરેશન ચાલુ છે.
નવી દિલ્લીઃ કાશ્મીર ઘાટીમાં આતંકીઓ સામે સુરક્ષાબળોનુ ઑપરેશન ચાલુ છે. આ ક્રમમાં રવિવારે પુલવામા જિલ્લાના ગાંદીપોરા વિસ્તારમાં આતંકીઓ અને ભારતીય સેના વચ્ચે ફરીથી અથડામણ થઈ. વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયા હોવાનુ જણાવવામાં આવી રહ્યુ છે. જેમને જવાનોએ ચારે તરફથી ઘેરી લીધા છે. અથડામણમાં આસપાસના લોકો દખલ ના દઈ શકે માટે વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષાકર્મીઓએ એક આતંકીને ઠાર માર્યો છે. રિપોર્ટ મુજબ વિસ્તારમાં લશ્કરના બે આતંકી છૂપાયા છે.
મળતી માહિતી મુજબ ગાંદીપોરામાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે ભારતીય સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. જવાનોને નજીક આવતા જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. જેનો વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. સાથે જ આતંકીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને નાસી ન જાય તે માટે ઘેરાબંધી મજબુત કરવામાં આવી છે.
અનંગતનાગમાં બે આતંકી ઠાર
શનિવારે અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા જેઓ લાંબા સમયથી હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર બિજબેહરાના શિતિપોરા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેનો જવાબ આપીને જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા.
અમરનાથ યાત્રા માટે એલર્ટ
બીજી તરફ અમરનાથ યાત્રા પણ 30 જૂનથી શરૂ થઈ રહી છે. જેના કારણે ભારતીય સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ એલર્ટ પર છે. તાજેતરમાં રેજિસ્ટંસ ફ્રંટે એક ધમકી પત્ર જાહેર કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. યાત્રાળુઓ ભયમુક્ત વાતાવરણમાં બાબા બર્ફાનીના દર્શન કરી શકે છે.