EVMs ગુજરાતમાં બન્યા નથી; ECની પેન્થર પાર્ટીને ખાતરી
નવી દિલ્હી, 2 સપ્ટેમ્બર : ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓમાં ગુજરાતમાં નિર્મિત ઇવીએમ્સ મોકલવામાં આવ્યા છે. આ ઇવીએમમાં છેડછાડ કરી શકાય થે તેવા કાશ્મીરની પેન્થર્સ પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા આરોપોના જવાબમાં આજે ચૂંટણી પંચે આવા અહેવાલને રદિયો આપ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે મોકલવામાં આવેલા ઇવીએમ ગુજરાતમાં બન્યા છે તેનો ઇનકાર કરતા ચૂંટણી પંચે કહ્યું છે કે આ પ્રકારના અહેવાલ બિલકુલ પાયાવિહોણા છે. ગુજરાતમાં બનેલા ઇવીએમ સાથે ચેડા કરવામાં આવ્યા છે તેવા અહેવાલ પણ હાલમાં આવ્યા હતા.
ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર પેન્થર્સ પાર્ટીના નેતા ભીમસિંહને મોકલેલા પત્રમાં કહ્યું છે કે ઇવીએમનું નિર્માણ ગુજરાત સ્થિત કોઇ કંપનીમાં થયું નથી. ચૂંટણી પંચે એમ પણ કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સંપૂર્ણપણે ટેમ્પરપ્રુફ છે અને આમા ચેડાની કોઇ શક્યતા નથી.
ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું કે ઇવીએમનું નિર્માણ જાહેર ક્ષેત્રની બે કંપનીઓ ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગ્લોર અને ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ હૈદરાબાદ દ્વારા કરવામાં આવ્યું છે. ભીમસિંહ આ બાબત જાણવા ઇચ્છુક હતા કે જમ્મુ કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં કોઇપણ અનિયમિતતા સર્જાશે નહીં. ઇવીએમનો દુરુપયોગ કરાશે નહીં તેની સાથે કોઇ ચેડા કરાશે નહીં.
ચૂંટણી પંચે 28મી ઓગસ્ટના દિવસે મોકલેલા પત્રમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સંપૂર્ણપણે ટેમ્પરપ્રુફ છે અને ટેકનોલોજીકલ દૃષ્ટિએ અને વહીવટી દૃષ્ટિએ સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા ભીમસિંહે મુખ્ય ચૂંટણી કમિશનર વીએસ સંપતને એક પત્ર લખીને કહ્યું હતું કે ગુજરાતમાં બનાવવામાં આવેલા ઇવીએમને જમ્મુ કાશ્મીરમાં મંગાવવાથી ચૂંટણી ઉપર માઠી અસર થશે.