ફેસબુક પર લાઈવ આવીને આસારામ બોલ્યા, જેટલી મોટી સજા એટલા મોટા રસ્તા
સગીરા સાથે બળાત્કારમાં દોષી સ્વઘોષિત ઈશ્વર આસારામ સજા સાંભળ્યાના બે દિવસ બાદ જ ફેસબુક પર લાઈવ આવ્યા.
સગીરા સાથે બળાત્કારમાં દોષી સ્વઘોષિત ઈશ્વર આસારામ સજા સાંભળ્યાના બે દિવસ બાદ જ ફેસબુક પર લાઈવ આવ્યા. મળતી જાણકારી અનુસાર આસારામના ફેસબુક પેજ Asaram Bapuji પર એક પોસ્ટ લખવામાં આવી. પોસ્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે, વિશેષ સૂચના, 27 એપ્રિલ 2018, જોધપુર જેલમાંથી પૂજ્ય બાપૂજીનો 6.30 વાગે ઓડિયો લાઈવ આવવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ અનુસાર આસારામનો ઓડિયો નક્કી કરેલા સમય પર જ લાઈવ થયો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે આ એક આખુ ષડયંત્ર છે. પહેલા દીકરી શિલ્પી, ત્યારબાદ દીકરા શરદને બહાર કઢાવીશ પછી હું તમારી વચ્ચે આવીશ.
1 કલાક સુધી ઓડિયો વીડિયો ચાલતો રહ્યો
ફેસબુક પેજ પર લગભગ 1 કલાક સુધી આસારામનો ઓડિયો અને વીડિયો ચાલતા રહ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર રાત્રે 8 વાગ્યા આસપાસ વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવવામાં આવ્યો. જો કે આ અંગેની સૂચનાવાળી જે ફેસબુક પોસ્ટ હતી તે મોડી રાત સુધી તેમની તેમ જ રહી. આ મામલે જ્યારે ડીઆઈજી જેલ વિક્રમ સિંહ કર્ણાવતને પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આસારામે કોઈ STD નંબર પર વાત કરી હતી. તેને કદાચ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવ્યુ હોઈ શકે છે.
આજે મોકો મળ્યો છે...
ઓડિયોમાં આસારામે કહ્યું કે, પહેલા શરદ અને શિલ્પીને બહાર કઢાવીશ બાદમાં હું આવીશ તમારી વચ્ચે. જેટલી મોટી સજા મળી છે તેટલા મોટા રસ્તા પણ બની જાય છે. મે તો નિર્ણય કરી લીધો છે કે પહેલા શિલ્પીને બાદમાં શરદને બહાર કઢાવીશ. ઉપર એકથી એક ચડિયાતી કોર્ટ છે. ક્યાંક ગડબડ થાય તો બીજી કોર્ટ સુધારી લે છે..સમજી ગયા ને.. હું આ સમાચાર બધાને એ જ દિવસે આપવા માંગતો હતો પરંતુ આજે મોકો મળ્યો છે. જે લોકો આડી અવળી વાતો કરે છે તેમને સંભળાવી દો. આ દરમિયાન આસારામ પછી જેલમાં બંધ શરદનો અવાજ આવે છે. હું જોધપુરમાં ઠીક છું. ચિંતા ના કરો.
આજીવનકેદની સજા
જોધપુર કોર્ટે વર્ષ 2013 ના સગીરા બળાત્કાર કેસમાં આસારામને દોષી ઠેરવ્યા છે. એ જ કેસમાં પ્રકાશ અને શિવાને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા છે. 4 વર્ષથી જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ આસારામને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.