મોદીનું થશે પુનરાવર્તન કે પછી નવી સરકાર? આ મુદ્દા નક્કી કરશે દેશનું ભવિષ્ય
મોંઘવારી, રોજગારી અને ગરીબી જેવા મુદ્દા લગભગ દરેક ચૂંટણી સમયે ચર્ચાય છે. એટલે આ વખતની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિપક્ષના સવાલોના જવાબ આપવા પડશે.
મોંઘવારી, રોજગારી અને ગરીબી જેવા મુદ્દા લગભગ દરેક ચૂંટણી સમયે ચર્ચાય છે. એટલે આ વખતની ચૂંટણીમાં પણ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વિપક્ષના સવાલોના જવાબ આપવા પડશે. પરંતુ આ ઉપરાંત પણ કેટલાક મુદ્દા છે, જે આગામી ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થશે. આ લેખમાં એ ગણતરીના મુદ્દાઓ પર ચર્ચા કરીએ, જે કાં તો મોદીને વિદાય આપશે કે પછી વિનર બનાવશે.
આ પણ વાંચો: 2014 ની સરખામણીમાં મોદી જેકેટના વેચાણમાં ભારે ઘટાડો થયો
રાષ્ટ્રીય સુરક્ષા
રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો 1990 બાદના સમયથી કોઈને કોઈ રીતે ચૂંટણીમાં અસર કરતો રહ્યો છે. પુલવામા હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈકને કારણે આ વખતે પણ ચૂંટણીમાં આ મહત્વનો મુદ્દો બનવાનો છે. ભાજપ તો આ મુદ્દાનો લાભ લેવાનો પ્રયત્ન કરશે જ. રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રવાદ એવો વિષય છે, જે ભાજપને ખૂબ ફાવે છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક બાદના સર્વેમાં મોદીની લોકપ્રિયતા વધતી દેખાઈ છે. પરંતુ આ વિષય વિપક્ષ માટે નુક્સાન કારક છે. જો આ મુદ્દે ચૂંટણી લડાઈ તો વિપક્ષ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
મોદી વિરુદ્ધ અન્ય
નરેન્દ્ર મોદીની કરિશ્માઈ નેતા તરીકેની ઈમેજ સુધરી છે કે બગડી છે, તે અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે તેમને ટક્કર આપી શકે તેવો કોઈ નેતા હાલ ભારતના રાજકારણમાં દેખાતો નથી. એટલે જ આ ચૂંટણી મોદી વિરુદ્ધ અન્યની છે. વિપક્ષ દાવા જરૂર કરે છે કે વાયદા પૂરા ન થતા મોદીની લોકપ્રિયતા ઘટી છે, પરંતુ વિધાનસભા ચૂંટણી દરમિયાન જે લોકોએ ભાજપ વિરુદ્ધ વોટિંગ કર્યું હતું તેઓ ફરી મોદી તરફી બની રહ્યા છે. એટલે જ ભાજપનો તમામ પ્રચાર નરેન્દ્ર મોદીની આજુબાજુ જ થાય છે. અને અમિત શાહ પણ તેના પર જ જીતના સમીકરણ રચવા પ્રયત્નશીલ છે.
ભ્રષ્ટાચાર
2014માં કોંગ્રેસની સરકાર જવાનું સૌથી મોટું કારણ સંખ્યાબંધ કૌભાંડો હતા. પરંતુ મોદી સરકારમાં દેશની ઈમેજ બદલાઈ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે સરકારને બેકફૂટ પર જરૂર ધખેલી રહ્યા છે, પરંતુ જનતાના મનમાં નરેન્દ્ર મોદીની છબી આજે પણ ચોખ્ખી છે. જનતા માને છે કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઈચ્છે છે. નોટબંધી સમયે આ વાત સાબિત થઈ ચૂકી છે. નોટબંધી દરમિયાન લોકોએ દુઃખ સહન કરીને પણ સરકારનો સાથ આપ્યો હતો. જનતા હજી પણ માને છે કે મોદી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પગલાં લઈ રહ્યા છે. એક ખાસ વર્ગને છોડીને વિપક્ષ આ વાત ખોટી સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
સશક્ત અને પ્રભાવી નેતૃત્તવ વિરુદ્ધ સંયુક્ત નેતૃત્તવ
ભાજપ મોદીના દમદાર અને તાકાતવાન નેતા તરીકેની ઈમેજ પર ચૂંટણી લડી રહ્યું છે. પરંતુ વિપક્ષ તેને સરમુખત્યારશાહી ગણાવે છે. ભાજપ કહે છે કે વિપક્ષ પાસે મોદીની સામે કોઈ નથી. તો વિપક્ષ ચૂંટણી બાદ અંદરોઅંદર નક્કી કરીને નેતૃત્તવ નક્કી કરવાનો દાવો કરે છે. મોદીની આ ઈમેજ તેમના સમર્થકોને પસંદ છે તો વિરોધીઓ એ વાતને ચગાવે છે કે મોદી પોતાની સામે પોતાના મંત્રીઓની વાત પણ માનવા નથી દેતા. જો કે મતદાતાઓ આ વિશે શું વિચારે છે તે તો ચૂંટણી પરિણામો જ દર્શાવશે. કારણ કે એર સ્ટ્રાઈક બાદ જે રીતે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા વધી છે તે જો લાગે છે કે મોટા ભાગના લોકો નરેન્દ્ર મોદીની દમદાર અને તાકાતવાન નેતા તરીકેની ઈમેજ પસંદ કરે છે.
દલિત અને આદિવાસી
2014માં ભાજપ સત્તામાં આવી ત્યારે જબરજસ્ત બહુમતી મળી હતી, જેમાં દલિત અને આદિવાસી મતદારોનું પણ યોગદાન હતું. પરંતુ રોહિત વેમુલાની આત્મહત્યા અને ઉનામાં ગૌરક્ષો દ્વારા દલિતોને માર મારવાની ઘટનાએ ભાજપને મુશ્કેલીમાં મૂક્યું છે. તો સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી એસસી/એસટી એક્ટને નબળો કરવાનો મુદ્દો પણ ઉઠ્યો, જેમાંથી દલિતોને નવા નેતાઓ મળ્યા. ધીરે ધીરે આ નેતાઓએ વિપક્ષ સાથે તાલમેલ સાધીને ભાજપને મુશ્કેલીમાં મૂક્યુ. ભાજપ સરકારે દલિતો અંગેના મુદ્દાને તાત્કાલિક સમાપ્ત કરવા પ્રયત્ન કર્યો પરંતુ હવે તો ચૂંટણી પરિણામ જ દર્શાવશે કે આ સ્થિતિથી ભાજપને કેટલું નુક્સાન થયું છે.
ગામડા અને ખેડૂતો
2014માં મોદીની જીત પાછળ ગામડા અને ખેડૂતોનો મહત્વનો રોલ હતો. પરંતુ ખેડૂતોની અપૂરતી કમાણીએ તેમને નિરાશ કર્ય છે. નોટબંધી એ ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ બગાડી. પાછલા નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસેને તેનો ભરપૂર ફાયદો લીધો અને કૃષિ લોન માફ કરવાનો વાયદો કરી ભાજપને હરાવ્યું. એટલે જ મોદી સરકારે ગત બજેટથી ખેડૂતોના ખાતામાં ફિક્સ રકમ આપવાની શરૂઆત કરી છે. હવે આ મલમ ખેડૂતોના ઘા કેટલાક ભરી શકે છે તે તો ચૂંટણી જ દર્શાવશે. જો કે ભાજપને ભરોસો છે કે ઘરે ઘરે શૌચાલય, ગેસ, ઘર અને વીજળી પહોંચાડીને 22 કરોડ ગરીબોની જિંદગી બદલાઈ છે. ભાજપ આ વાતોને મતદારો સુધી કેવી રીતે પહોંચાડે છે.
ધ્રુવીકરણ
ધ્રુવીકરણના કારણે પણ 2014માં ભાજપને ફાયદો થયો હતો. એટલે જ કોંગ્રેસ છેલ્લી કેટલીક ચૂંટણીઓથી પોતાની મુસ્લિમ તરફી છબી બદલવાની કોશિશ કરી રહ્યું છે. ગુજરાતની ચૂંટણી બાદ કોંગ્રેસે પોતાનો વ્યવહાર બદલ્યો છે. આ તરફ ભાજપ એવો કોઈ મોકો છોડવો તૈયાર નથી, જેનાથી તેને ધ્રુવીકરણનો ફાયદો ન મળે. પુલવામા હુમલો, એર સ્ટ્રાઈક, જમ્મુ કાશ્મીર અને એલઓસીની સ્થિતિ જેવા સહિતના મુદ્દાનો ભાજપ લાભ લેવાનો પ્રયત્ન કરશે. જો કે એ જરૂરી નથી કે દર વખતે આ મુદ્દો ભાજપના પક્ષમાં જ આવે. કારણ કે તેનાથી મુસ્લિમ મતદારોમાં પણ ભાજપ તેમનું વિરોધી હોવાનો ખતરો બને છે. જેનો ફાયદો વિપક્ષને મળવો નક્કી છે.
જાતિવાદ
2014માં મોદી લહેરને કારણે જાતિગત સમીકરણ ધ્વસ્ત થઈ ગયા હતા. પરંતુ આ વખતે જાતિગત સમીકરણો ભાજપના પક્ષમાં નથી દેખાઈ રહ્યા. ખાસ કરીને યુપીમાં સપા અને બસપા વચ્ચેનું ગઠબંધન ભાજપ માટે મોટી મુશ્કેલી બન્યું છે. દલિત ઉત્પીડન કાયદા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટવાને કારણે ઉચ્ચ વર્ગના વર્ગના વોટર્સ સરકારથી નારાજ થયા છે. પરંતુ, ગરીબોની નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે 10 ટકા અનામત આપીને ભાજપે આ નારાજગી દૂર કરવાની કોશિશ કરી છે. આ ઉપરાંત દરેક રાજ્યમાં જાતીય સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ વિપક્ષના જાતીય સમીકરણને કેટલું હલાવી સકે તેનાથી જ ભવિષ્ય નક્કી થશે.
કલ્યાણકારી યોજનાઓ
ભાજપને મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓ પર વિશ્વાસ છે, જે ભાજપને ફરી સત્તા પર લાવી શકે છે. જેમાં ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, પીએમ-કિસાન, આયુષ્માન ભારત જેવી યોજનાઓ મહત્વની છે. પરંતુ, ખેડૂતોને લોન માફ કરીને અને બેરોજગારોની નિશ્ચિત રકમ આપવાનો વાયદો કરીને ભાજપની મુશ્કેલી વધારી છે. કોંગ્રેસના આ વાયદાને કારણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ ભાજપને ભરોસો છે કે તેમના કારણે જે લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે, તે તો તેમને સાથ આપશે જ.
સોશિયલ મીડિયા
2014માં મોદીની મોટી જીત પાછળ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કારણભૂત હતો. પરંતુ 2019માં કોંગ્રેસે પણ તેને હથિયાર બનાવી લીધું છે. સરવાળે આ પ્લેટફોર્મ પર કાંટાની ટક્કર દેખઆઈ રહી છે. હવે તો માયાવતી જેવા નેતાઓ પણ ટ્વિટર પર આવી ચૂક્યા છે. એટલે ભાજપ માટે સોશિયલ મીડિયા એકતરફું હથિયાર નથી રહ્યું, તેમણે બીજાના પ્રહાર પણ સહન કરવા પડશે.
યુવાનો
2014ની ચૂંટણી સમયે મોદીએ યુવા મતદારોને આકર્ષવાની પણ ભરપૂર કોશિશ કરી હતી. તેઓ સતત યુવાનો અંગેના મુદ્દાઓ પર ભાર મૂક્તા હતા. બીજી તરફ રાહુલ ગાંધી પોતાને જ યુવા નેતા તરીકે રજૂ કરે છે. આ વખતની ચૂંટણીમાં પણ 6 કરોડ જેટલા મતદારો પહેલી વખત વોટ કરવાના છે, જેમાંથી 1.5 કરોડ મતદારો લોકસભામાં જ પહેલી વખત મતદાન કરે છે. આ ટેક્નોસેવી વોટર્સ કોના પક્ષમાં વોટ કરશે તે નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ સચ્ચાઈ એ જ છે કે અત્યાર સુધી તો મોદી તેમની સાથે સ્માર્ટલી કામ લઈ રહ્યા છે.
રોજગારી
મોદી સરકાર વિરુદ્ધ રોજગારનો મુદ્દો વિપક્ષ માટે સૌથી મોટું હથિયાર છે. વિપક્ષનો આરોપ છે કે 2014માં મોદી યુવાઓને રોજગારીના વાયદા સાથે સરકાર બનાવી હતી, પરંતુ તેમણે વાયદો પાળ્ય નથી. ઉપરથી નોટબંધી અને જીએસટીએ કરોડો લોકોની રોજગારી છીનવી લીધી. જો કે જવાબમાં મોદી મુદ્રા લોન અને તેના દ્વારા કરોડો લોકોને રોજગારી મળી હોવાનો ઉલ્લેખ કરે છે. તેમનો દાવો છે કે તેમણે યુવાનોને રોજગારી માગનાર નહીં રોજગારી આપનાર બનાવ્યા છે. જો કે તેની યુવાનો પર શું અસર પડશે તે તો યંગિસ્તાન જ નક્કી કરશે.
મોંઘવારી
મોંઘવારીનો મુદ્દો દરેક ચૂંટણીમાં મહત્વનો હોય છે. પરંતુ હાલ આ મુદ્દો ખાસ ચર્ચામાં નથી. વિપક્ષ પેટ્રોલ-ગેસના નામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવે છે, પરંતુ સામાન્ય જરૂરિયાતની વસ્તુઓના ભાવ કંટ્રોલમાં હોવાથી જનતા ખાસ ધ્યાન નથી આપતી. એક હદ સુધી મોદી સરકારની ઈમેજ મોંઘવારી કાબુમાં રાખનાર સરકારની પણ છે.
મહિલા
ભાજપને ભરોસો છે કે મોદી સરકારમાં મહિલાઓ માટે જે પગલાં લેવાયા છે, તેનાથી અડધી વસ્તી તો તેમના જ પક્ષમાં રહેશે. ભાજપની આશાનો સૌથી મોટો આધાર ઉજ્જવલા યોજનામાં મળતા મફત ગેસ સિલિન્ડર પર છે. જે અંતર્ગત કરોડો મહિલાઓને ગેસની સુવિધા મળી છે. આ ઉપરાંત બળાત્કાર જેવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈએ પણ ભાજપનો પક્ષ મજબૂત કર્યો છે.
ગૌરક્ષા
યુપીમાં ભાજપની મોટી જીત પાછળ ગૌરક્ષા પણ મોટું કારણ મનાતું હતું. પરંતુ તેનાથી સમાજના એક વર્ગમાં ભાજપ વિરુદ્ધનું માનસ પણ બન્યુ છે. હવે જોવાની વાત એ છે કે ભાજપ ગૌરક્ષાનો વાયદો નિભાવવા માટે હાલની પરિસ્થિતિમાં શું કરે છે.