farmer protest : કેન્દ્રીય ગૃહ મંત્રી, તેજિંદર સિંહ વિર્કની નજીકના 10-15 અજાણ્યા લોકો સામે FIR દાખલ
લખીમપુર ખેરી જિલ્લામાં રવિવારના રોજ થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. તેમાં ચાર ખેડૂતો, ત્રણ ભાજપના કાર્યકરો અને એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. આવા સમયે હવે આઠ લોકોના મોતના કેસમાં ક્રોસ FIR પણ દાખલ કરવામાં આવી છે.
લખનઉ : લખીમપુર ખેરી જિલ્લામાં રવિવારના રોજ થયેલી હિંસામાં આઠ લોકોના મોત થયા હતા. તેમાં ચાર ખેડૂતો, ત્રણ ભાજપના કાર્યકરો અને એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. આવા સમયે હવે આઠ લોકોના મોતના કેસમાં ક્રોસ FIR પણ દાખલ કરવામાં આવી છે. આ FIR કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના સમર્થક ભાજપના નેતા સુમિત જયસ્વાલે નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, સુમિત જયસ્વાબે 10 થી 15 અજાણ્યા લોકો સામે આ FIR નોંધાવી છે.
આ FIR હત્યા, ગુનાહિત કાવતરું અને રમખાણો સહિત અનેક કલમો હેઠળ નોંધવામાં આવી છે. આ અગાઉ પોલીસે આશિષ મિશ્રા ટેની અને અન્ય 15 સામે લખીમપુર હિંસા કેસમાં હત્યા, ગેરકાયદેસર એસેમ્બલી, હાઇ સ્પીડમાં વાહન ચલાવવા અને હિંસા ભડકાવવાના આરોપોમાં FIR નોંધાવી હતી. રાજ્યના અધિક મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત અનેક લોકો સામે FIR નોંધવામાં આવી છે.
અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું કે, FIRની નકલ હજૂ ઉપલબ્ધ નથી, તેથી જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, તેની માહિતી પછીથી આપવામાં આવશે. જો કે, આ કેસમાં હજૂ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. લખીમપુર હિંસામાં માર્યા ગયેલા ભાજપના નેતા શુભમ મિશ્રાના પરિવારે પોલીસને આપેલી ફરિયાદમાં તેજિંદર સિંહ વિર્કનું નામ આપ્યું છે. અખિલેશ યાદવ તેજિંદર સિંહ વિર્કને ખેડૂત નેતા ગણાવી રહ્યા હતા, પરંતુ તેમનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે જણાવવામાં આવી રહ્યો છે.
બીજી તરફ લખીમપુરમાં બનેલી ઘટના માટે ખેડૂતો અજયકુમાર મિશ્રાના પુત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે. તેમનો આરોપ છે કે આશિષ મિશ્રાની કાર ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની લખીમપુર ખેરીના બનવીર ગામની મુલાકાતનો વિરોધ કરી રહેલા ખેડૂતોને ટક્કર મારી હતી. આ પછી આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ બંને ઘટનાઓમાં 8 લોકોના મોત થયા છે.
મારા પુત્ર સામે કોઈ પુરાવા મળે, તો પણ હું રાજીનામું આપી દઈશ : અજય મિશ્રા
આ મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ જણાવ્યું છે કે, જો લખીમપુર ખેરીમાં ઘટના બની તે સ્થળે મારા પુત્રની હાજરીના કોઈ પુરાવા હોય તો હું મંત્રી પદેથી રાજીનામું આપી દઈશ. આ ઘટનામાં તેમના ત્રણ લોકો માર્યા ગયા હતા, જેમાં બે ભાજપના કાર્યકરો અને તેમના એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે.
અજય મિશ્રાનું કહેવું છે કે, તેમના કાફલા પર વિરોધીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન અમારા 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. અજય મિશ્રાએ આ સમગ્ર કેસમાં તેમના પુત્રની સંડોવણીના આરોપોને ફગાવી દીધા છે.
જણો શું છે સમગ્ર ઘટના ?
ઉલ્લેખનીય છે કે, લખીમપુર ખેરીમાં કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોના વિરોધ દરમિયાન રવિવારના રોજ પરિસ્થિતિ વધુ વણસી હતી. ખેડૂતોનો આરોપ છે કે, કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્રએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર તેમની કારને ચડાવી દીધી હતી.
આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 ખેડૂતોના મોત થયા છે. જે વચ્ચે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી પણ લખીમપુરમાં ખેડૂતોને મળવા 3-4 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા હતા, પરંતુ હરગાંવથી અટકાયત કરીને સીતાપુર પોલીસ લાઈન્સમાં લઈ જવામાં આવી હતી. આ દરમિયાન પ્રિયંકા ગાંધીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પોલીસકર્મીઓ પર રોષે ભરાયા હતા.
પ્રિયંકા ગાંધીની ધરપકડ, વધુ 10 પર FIR
ખેડૂતોના મૃત્યુ બાદ લખીમપુર જવાનો પ્રયાસ કરવા બદલ 11 રાજકારણીઓ સામે FIR નોંધવામાં આવી છે. આ FIR લખીમપુર નજીકના જિલ્લા સીતાપુરમાં બની છે. સીતાપુરના હરગાંવ પોલીસ સ્ટેશનના SHOએ જણાવ્યું છે કે, FIRમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અજય કુમાર લલ્લુનું નામ છે. તમામ વિરુદ્ધ શાંતિ ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરી રહેલા ખેડૂતોને લખીમપુર ઘેરીના ટીકુનિયામાં કાર વડે કચડી નાંખવામાં આવ્યા હતા. આ ઘટનાને અંજામ આપવાનો આરોપ ગૃહ રાજ્યમંત્રી અજય ટેનીના પુત્ર પર છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી અને દીપેન્દ્ર હુડા 5 ખેડૂતોના મોતના સમાચાર સાંભળીને રવિવારની રાત્રે લખીમપુર જવા રવાના થયા હતા. તેમને લખનઉથી લખીમપુર ખેરી તરફ જતી વખતે સીતાપુરમાં કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યારથી પ્રિયંકા સતત કસ્ટડીમાં હતા. તેમની સામે આજે FIR દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.