નૂપુર શર્મા, નવીન જિંદલ, મૌલાના મુફ્તી નદીમ સહિત 9 લોકો સામે FIR, કરી હતી વિવાદિત ધાર્મિક ટિપ્પણીઓ
ભાજપ નેતા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
નવી દિલ્લીઃ ભાજપ નેતા નૂપુર શર્મા અને દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન કુમાર જિંદાલ સહિત 9 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ લોકો પર જાહેરમાં નફરતના સંદેશા ફેલાવવાનો આરોપ છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ લોકો સામે કાર્યવાહી કરી છે. FIRમાં નૂપુર શર્મા, નવીન કુમાર જિંદાલ, શાદાબ ચૌહાણ, સબા નકવી, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીણા અને પૂજા શકુનના નામ શામેલ છે. આ તમામ પર નફરતભર્યા ભાષણ દ્વારા વાતાવરણ બગાડવાનો આરોપ છે.
પોલીસનો આરોપ છે કે અલગ-અલગ ધર્મો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે. આ સાથે વાતાવરણ બગાડવા અને સામાજિક સમરસતા બગાડવાની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર મુકવામાં આવી હતી. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યુ કે ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્મા અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ વિરુદ્ધ સમાન કલમો હેઠળ બીજી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (IFSO) કેપીએસ મલ્હોત્રાએ જણાવ્યુ હતુ કે, 'એફઆઈઆર ઘણા ધર્મોના લોકો વિરુદ્ધ છે.'
તમને જણાવી દઈએ કે ભાજપ નેતા નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલ દ્વારા પયગંબર મોહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણી પર વિવાદ હજુ પણ ચાલુ છે. વિવાદાસ્પદ ટીપ્પણીને લઈને ઘણા દેશોએ ભારત વિરુદ્ધ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે પાર્ટીના દિલ્હી યુનિટના મીડિયા ચીફ નવીન કુમાર જિંદાલને હાંકી કાઢવામાં આવ્યા છે.
ભાજપે હવે તેના પક્ષના પ્રવક્તાઓ માટે ઘણી સૂચનાઓ જાહેર કરી છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીના પ્રવક્તાઓને સલાહ આપવામાં આવી છે કે હવે માત્ર સત્તાવાર પ્રવક્તા અને પેનલના સભ્યો જ ટીવી ચેનલોની ચર્ચામાં જશે. પાર્ટીના મીડિયા સેલ દ્વારા તેમને જવાબદારી સોંપવામાં આવશે. કહેવામાં આવ્યુ છે કે કોઈપણ ધર્મ વિરુદ્ધ બોલશો નહિ. ધર્મના ઉપાસકો અને પ્રતીકો વિશે પણ બોલશો નહિ.