બેંગલુરુના ભૂતપૂર્વ પોલીસ કમિશનર AAPમાં જોડાયા, દક્ષિણ ભારતમાં સુશાસન લાવવાનો દાવો!
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી (AAP) પોતાનો સ્ટેમિના બતાવવા માટે અન્ય રાજ્યોમાં ગ્રાઉન્ડ લેવલની પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
નવી દિલ્હી, 4 એપ્રિલ : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બાદ આમ આદમી પાર્ટી (AAP) પોતાનો સ્ટેમિના બતાવવા માટે અન્ય રાજ્યોમાં ગ્રાઉન્ડ લેવલની પકડ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભવિષ્યમાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યાં સદસ્યતા અભિયાન તેજ ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. પાર્ટી સારી સામાજિક છબી ધરાવતા લોકો પર ફોકસ કરી રહી છે. પશ્ચિમ બાદ AAPએ દક્ષિણ ભારતમાં પણ પોતાનો દબદબો બનાવવાનું શરૂ કર્યું છે. સોમવારે આમ આદમી પાર્ટીમાં જોડાનાર બેંગલુરુના પૂર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવે કહ્યું કે સારા નેતૃત્વ સિવાય દક્ષિણ ભારતમાં બધું જ ઉપલબ્ધ છે.
સોમવારે બેંગલુરુના ભુતપુર્વ પોલીસ કમિશનર ભાસ્કર રાવ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેઓ AAP નેતા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે ભાસ્કર રાવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે તેઓ અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી ખૂબ જ પ્રભાવિત છે, જેઓ છેલ્લા 6-7 વર્ષથી દિલ્હીનો વહીવટ સંભાળી રહ્યા છે. રાવે વધુમાં કહ્યું કે તેમનું મિશન અરવિંદ કેજરીવાલના સુશાસનને દક્ષિણ ભારતમાં ખાસ કરીને બેંગલુરુમાં લાવવાનું છે. ભાસ્કર રાવે કહ્યું કે દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટક પાસે બધું જ છે પરંતુ સારા નેતૃત્વનો અભાવ છે.
સાથે જ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ ચરમસીમા પર છે. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જબરદસ્ત સફળતા હાંસલ કર્યા બાદ હવે પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઈને સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની રાજધાની અમદાવાદમાં એક મોટા રોડ શોનું આયોજન કર્યું હતું. આ સિવાય AAP કન્વીનર અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં અનેક સંસ્થાઓના વડાઓ સાથે બંધ બારણે બેઠકો કરી છે. પંજાબમાં જીતથી ઉત્સાહિત AAP નેતાઓ ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા તૈયારી કરી રહ્યા છે.