નરેન્દ્ર મોદી સામે અડવાણીએ ગડકરીને પ્યાદા બનાવ્યા
નવી દિલ્હી, 23 મે : ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી એ બાબત સારી રીતે જાણે છે કે આગામી લોકસભા ચૂંટણીઓ તેમના માટે વડાપ્રધાન બનવાની અંતિમ તક છે. જો કે તેમના માર્ગમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સૌથી મોટા અવરોધ બનીને ઉભા થયા છે. નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા માટે તેમણે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીને પ્યાદા બનાવ્યા છે. આપને યાદ હશે કે હજી બે મહિના પહેલા જ અડવાણીએ નીતિન ગડકરીને ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા રોક્યા હતા અને છેલ્લી ઘડીએ તાજ રાજનાથ સિંહના માથે ગયો હતો.
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ અનુસાર પાછલા દિવસોમાં ગડકરી અડવાણીના ઘરે લંચ લેવા ગયા હતા. આ દરમિયાન અડવાણીએ તેમને જણાવ્યું હતું કે "મેં કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ પદ માટે રાજનાથ સિંહને આપના નામની ભલામણ કરી છે." ઉલ્લેખનીય છે કે આ પદ માટે પાર્ટીમાં સૌથી મજબૂત દાવેદાર નરેન્દ્ર મોદી છે. એવું પણ કહેવામાં આવે છે કે તેમનું નામ લગભગ નક્કી જેવું જ છે. આગામી 8 અને 9 જૂનના રોજ ગોવામાં યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં કેમ્પેઇન કમિટીના ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવે એવી સંભાવનાઓ છે.
ભાજપના સૂત્રોનું એમ પણ કહેવું છે કે ગડકરી ભાજપની કેમ્પેઇન કમિટીના અધ્યક્ષ બનવા તો માંગે છે પણ તેઓ મોદી અને અડવાણીના ઝગડામાં વચ્ચે પડવા માંગતા નથી. તેઓ એમ પણ નથી ઇચ્છતા કે તેમને અડવાણીના ઉમેદવાર તરીકે ઓળખવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવતે પણ ગડકરીને સલાહ આપી છે કે જ્યાં સુધી પૂર્તિ ગ્રુપ સામેની તપાસ પૂરી ના થઇ જાય ત્યાં સુધી લો પ્રોફાઇલ રહેવું જોઇએ. આ કારણે જ ગડકરીએ અડવાણીના પ્રસ્તાવ અગે પોતાના પત્તા ખોલ્યા નથી.
બીજી તરફ એ બાબતની શક્યતાઓ ઓછી છે કે અડવાણીની ભલામણ માત્રથી રાજનાથ સિંહ તેમને કેમ્પેઇન કમિટીના ચેરમેન બનાવે. રાજનાથ અને ગડકરી વચ્ચેના સંબંધો પણ ખાસ સારા નથી. રાજનાથે ગડકરી સાથે ચર્ચા કર્યા વિના જ નાગપુરના દેનેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ બનાવી દીધા છે.
અડવાણી અને મોદી વચ્ચેની રેસાં ગડકરીનું મહત્વ અન્ય એક કારણથી પણ છે. પાર્ટીના 12 સભ્યોવાળા સંસદીય બોર્ડમાં અડવાણી અને મોદીના જૂથના લોકોની સંખ્યા લગભગ બરાબર છે. ગડકરી હાલ કોઇના પણ જૂથમાં માનામાં આવતા નથી. આવી સ્થિતિમાં ગડકરી જેના જૂથમાં જશે તેમનું પલડું ભારે થઇ જશે.