મોદીની 'A' ટીમમાં ગડકરીને મોટી જવાબદારી સોંપાશે?
નરેન્દ્ર મોદીએ ટીમના સભ્યોના નામ અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે વિસ્તારથી ચર્ચા કરી છે. સૂત્રનું કહેવું છે કે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીને દિલ્હીના પ્રભારી બનાવવાની સાથે મહત્વની જવાબદારી સોંપવામાં આવે એવી શક્યતા છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષણ અડવાણીએ આગ્રહ રાખ્યો હતો કે નરેન્દ્ર મોદીને સંપૂર્ણ જવાબદારી સોંપી દેવાને બદલે ચૂંટણી પ્રચારની દેખ રેખ એક ઉચ્ચ સમિતીને સોંપવામાં આવે. અડવાણીએ આ સૂચન પાર્ટી અને સંઘ બંનેના અગ્રણી નેતાઓ સમક્ષ રજૂ કર્યું હતું.
હવે સ્થિતિ એ છે કે અડવાણીની પૂરેપૂરી વાત તો માનવામાં આવી રહી નથી પરંતુ, તે સૂચનના આધારે વ્યવસ્થા ગોઠવવામાં આવે એવા સંકેત મળી રહ્યા છે. વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર પાર્ટીના ચાર મોટા નેતાઓને સમગ્ર દ્શની જવાબદારી સોંપવા અંગે સહમતિ બની શકે છે.
આ વ્યવસ્થા મુજબ રાજનાથ સિંહ અને નરેન્દ્ર મોદી ઓવરઓલ કામ જોશે. દેશમાં ભાજપના વ્યૂહના અમલ માટે ચારે દિશામાં એક એક મોટા નેતા કામગીરી બજાવશે. જેમાં સંભળાતા નામો અનુસાર સુષ્મા સ્વરાજને પૂર્વ ભારત, અરૂણ જેટલીને પશ્ચિમ ભારત, વેંકૈયા નાયડુને દક્ષિણ ભારત અને નીતિન ગડકરીને ઉત્તર ભારતની જવાબદારી સોંપી શકાય એમ છે. તેમને આ વિસ્તારોના ઝોનલ ઇન્ચાર્જ બનાવવામાં આવશે. પાર્ટી ગડકરી પાસે અપેક્ષા રાખી રહી છ કે તેઓ દિલ્હી અને રાજસ્થાનમાં ભાજપને સત્તા પાછી અપાવે.