ગુવાહાટી હાઇકોર્ટે CBIને ગેરબંધારણીય ગણાવી
ગુવાહાટી હાઇકોર્ટે જણાવ્યું છે કે સીબીઆઇની રચના નિશ્ચિત જરૂરિયાતને પૂરી કરવા માટે થોડા સમય માટે જ કરવામાં આવી હતી. ગુહ મંત્રાલયની એ દરખાસ્ત કેન્દ્રીય કેબિનેટનો નિર્ણય પણ ન હતો કે તેની સાથે રાષ્ટ્રપતિની સ્વીકૃતિનો કોઇ કાર્યકારી આદેશ પણ ન હતો.
હાઇકોર્ટે જણાવ્યું કે અપરાધની તપાસ કરનારી આવી એજન્સી જેની પાસે પોલીસ દળ જેવી શક્તિઓ હોય, તેની રચના માત્ર એક કાર્યકારી નિર્દેશ હેઠળ કરી શકાય નહીં. કોર્ટે એમ પણ જણાવ્યું કે કેસ દાખલ કરવો, આરોપીઓની ધરપકડ કરવી, તલાશી લેવી જેવી સીબીઆઇની કાર્યવાહી બંધારણની કલમ 21નું ઉલ્લંઘન છે.
કોર્ટે જણાવ્યું કે અમે 1 એપ્રિલ, 1963ની એ દરખાસ્તને નકારી દઇએ છીએ, જે અંતર્ગત સીબીઆઇની સ્થાપના કરવામાં આવી હતી. સીબીઆઇ, દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એટલે કે ડીએસપીઇનું અંગ નથી. કોર્ટે જણાવ્યું કે ડીએસપીઇ કાયદો 1946 અંતર્ગત રચિત એક પોલીસ દળ સ્વરૂપે સ્વીકારી શકાય નહીં. આવામાં આ દરખાસ્તને માત્ર વિભાગીય નિર્દેશ જ માની શકાય એમ છે. તેને કાયદાના રૂપમાં બદલી શકાય નહીં.
અસમમાં બીએસએનએલના કર્મચારી નવેન્દ્ર કુમારની વિરુદ્ધ 2001માં સીબીઆઇએ અપરાધિક ષડયંત્ર રચવાનો કેસ નોંધ્યો હતો. જે અંતર્ગત નવેન્દ્ર કુમારે સીબીઆઇની રચનાને પડકારી હતી અને પોતાની વિરુદ્ધ નોંધવામાં આવેલી એફઆઇઆર રદ કરવાની અરજી કરી હતી. હાઇકોર્ટની સિંગલ જજ બેંચે તેમની અરજી ફગાવી હતી. ત્યાર બાદ હાઇકોર્ટની ડબલ જજની બેંકમાં નવેન્દ્રએ અરજી કરી હતી. જેમાં જસ્ટિસ ઇકબાલ એહેમદ અને જસ્ટિસ ઇન્દિરા શાહે ચૂકાદો સંભળવતા સીબીઆઇની રચનાને ગેરબંધારણીય ગણાવી હતી.