13 પોઈન્ટ રોસ્ટરઃ એસસી/એસટી-ઓબીસી અનામત પર ઘેરાઈ મોદી સરકાર લાવી શકે છે વટહુકમ
13 પોઈન્ટ રોસ્ટર પર વિરોધને જોતા સરકાર આના પર વટહુકમ લાવવાની તૈયારીમાં છે.
13 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માંગ અંગે ઘણા દલિત અને આદિવાસી સંગઠનોએ ભારત બંધ બોલાવ્યુ હતુ. દેશના ઘણા રાજ્યોમાં 13 પોઈન્ટ રોસ્ટરના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા અને તેનો વિરોધ કર્યો. વળી, 13 પોઈન્ટ રોસ્ટર પર વિરોધને જોતા સરકાર આના પર વટહુકમ લાવવાની તૈયારીમાં છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે 13 પોઈન્ટ રોસ્ટર પર ચાલી રહેલ હોબાળા વચ્ચે કહ્યુ કે સરકાર પણ 200 પોઈન્ટ રોસ્ટરના પક્ષમાં છે.
આ વટહુકમના આવ્યા બાદ યુનિવર્સિટી કે કોલેજને એક યુનિટ તરીકે લેવામાં આવશે. એવામાં અલગ અલગ શ્રેણીઓમાં પદોની ગણતરી દરમિયાન વિભાગને આધાર માનવામાં નહિ આવે. સરકારના વટહુકમ બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી/એસટી અને ઓબીસીની ભરતી દરમિયાન અધિકાર મળશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ અરજીને ફગાવી દીધી હતી જેમાં અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને પલટવાની માંગ કરવામાં આવી હતી.
સોમવારે 13 પોઈન્ટ રોસ્ટરની જગ્યાએ 200 પોઈન્ટ રોસ્ટર લાગુ કરવાની માંગ અંગે ઘણા સંગઠનોએ ભારત બંધ બોલાવ્યુ હતુ. આ સંગઠનોની માંગ છે કે કેન્દ્ર સરકાર તેમના અધિકારોની રક્ષા માટે વટહુકમ લઈને આવે જેના પર સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર પડી છે. એક વટહુકમ આદિવાસીઓના વન અધિકારો સાથે સંબંધિત છે જ્યારે બીજો યુજીસી ફેકલ્ટીના પદોમાં યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરાવવા અંગે છે. આ સંગઠનોની એ પણ માંગ છે કે સરકાર બંધારણમાં અનુચ્છેદ 312 હેઠળ ભારતીય ન્યાયિક સેવાઓની સ્થાપના કરે જેથી ઉચ્ચ ન્યાય વ્યવસ્થામાં એસસી-એસટી, ઓબીસી, લઘુમતીઓ અને મહિલાઓનો સમાવેશ સુનિશ્ચિત થઈ શકે. રાજદ, સપા, બસપા, કોંગ્રેસ વગેરે રાજકીય દળોએ 13 પોઈન્ટ રોસ્ટર અંગે સરકારને ઘેરી.
આ પણ વાંચોઃ ભારતના દબાણની અસર, પાકિસ્તાને હાફિઝ સઈદના સંગઠન પર પ્રતિબંધ લગાવ્યો