ઉત્તરાખંડ કરૂણાંતિકા: ઉજાગર થઇ રાજ્ય સરકારની બેદરકારી

હવામાન વિભાગે ચેતાવણીમાં સ્પષ્ટ કહ્યું હતું કે ચાર ધામને સ્થગિત કરવામાં આવે કારણ કે ભારે વરસાદ આવવાનો છે. પરંતુ સરકારી અધિકારીઓએ આના પર ધ્યાન આપ્યું નહી અને પરિણામે હજારો લોકોએ જીવ ગુમાવવો પડ્યો. બહુગુણા સરકાર હવે આ મુદ્દે મૌન છે.
સમાચાર ચેનલોના જણાવ્યા અનુસાર ભારે વરસાદની પહેલી ચેતાવણી 14 જૂનના રોજ કૃષિ સલાહ બુલેટીનમાં આપવામાં આવી હતી. 15 જૂન એટલે કે જલપ્રલયના એક દિવસ પહેલાં 72 કલાકમાં ભારે વરસાદની ચેતાવણી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર, આઇટીબીપી અને રૂદ્રપ્રયાગના ડીએમને પણ આપવામાં આવી હતી. આ ચેતાવણીમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે યાત્રાળુઓને સુરક્ષિત સ્થળે જવાનું કહેવામાં આવે.
ત્યારબાદ 15 જૂનના રોજ ચાર ધામ યાત્રા સાથે જોડાયેલ એક વિશેષ સલાહકારી જાહેર કરવામાં આવી હતી. આ સલાહકારીમાં પણ 16-17 જૂનના રોજ ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે ચાર ધામ યાત્રાળુઓને સલાહ આપવામાં આવે છે કે ચાર દિવસ યાત્રા સ્થગિત કરવામાં આવે. આ ચેતાવણી બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને જોશીમઠ વિસ્તારો માટે આપવામાં આવી હતી. 16 જૂનની સવારે હવામાન વિભાગે ચેતાવણી જાહેર કરી હતી. બધા જ અનુમાનો સાચા સાબિત થયા અને 16 જૂનની રાત્રે થયેલા વરસાદે ઉત્તરાખંડમાં સૌથી વધુ તબાહી સર્જાઇ હતી.












Click it and Unblock the Notifications
