2G કેસમાં આર.પી સિંહનો ધડાકો, કહ્યું 'જબરદસ્તી કરવી પડી સહી'
સીએજીમાં ડીજી ટેલીકોમ રહી ચૂકેલા આર.પી સિંહે દાવો કર્યો છે કે સીએજીના અહેવાલ સાથે સહમત ન્હોતા છતા તેમણે રિપોર્ટ પર હસ્તાક્ષર એટલા માટે કર્યા કારણ કે તેમને આના માટે સીએજીના વિનોદ રાય તરફથી તેમને લેખિત આદેશ મળ્યા હતા.
આર. પી. સિંહે જણાવ્યું કે તેમણે રિપોર્ટમાં બેહજાર છસ્સો પિસ્તાલીસ કરોડના નુકસાનનું જ અનુમાન લગાવ્યું હતું. પરંતુ તેમની પાસે જે રિપોર્ટ આવ્યા તેમાં એક લાખ છોત્તેર હજાર કરોડના નુકસાનનું અનુમાન હતું. સિંહનું કહેવું છે કે સીએજી વિનોદ રાયે કોઇ દસ્તાવેજી પૂરાવા વગર જ નુકસાનનું અનુમાન લગાવ્યું.
સિંહે એ પણ દાવો કર્યો છે કે સીએજીના અધિકારી રજાના દિવસે ઘોટાળાની તપાસ કરી રહેલા પબ્લિક એકાઉન્ટ કમેટીના અધ્યક્ષ મુરલી મનોહર જોશીના ઘરે ગયા હતા અને તેમને પીએસી રિપોર્ટ તૈયાર કરવામાં મદદ કરી હતી.
આર.પી. સિંહનું એ પણ કહેવું છે કે તેમને લાગે છે કે મુરલી મનોહર જોશીએ સીએજીના રિપોર્ટ સાથે ચેડા કરવાની પણ કોશિશ કરી હતી. આર. પી. સિંહે સપ્ટેમ્બર 2011 માં સીએજીમાંથી નિવૃત્ત થયા હતા.
મુરલી મનોહરે આપ્યો રદિયો
જોકે પબ્લિક એકાઉન્ટ કમેટીના અધ્યક્ષ બીજેપી સાંસદ મુરલી મનોહર જોશીએ જણાવ્યું કે આર. પી. સિંહનું નિવેદન પાયાવિહોણું છે. અને કમેટી પહેલાથી જ આ મામલાની તપાસ કરી રહી છે. જોશીએ જણાવ્યું કે જ્યારે તેઓ પીએસીના અધ્યક્ષ ન્હોતા ત્યારે આર.પી.સિંહે આ બાબતો જણાવી ન્હોતી. તેમણે જણાવ્યું કે આ બધું સીએજી સંસ્થાને બદનામ કરવાનું કાવતરૂં છે.