રાહુલ પર અણ્ણા હજારેનો નિશાનો, 'સત્તા ઝેર નથી નશો છે'
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરીઃ સમાજસેવા અણ્ણા હજારેએ પ્રસ્તાવિત લોકપાલ બીલને ઘણું જ નબળું ગણાવતા, સરકાર પર જનતા સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં પરંતુ અણ્ણાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો તાક્યો છે. તેમણે પાર્ટી ઉપાધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે સત્તા ઝેર નથી નશો છે.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ પોતાના એ ચર્ચિત ભાષણમાં કહ્યું હતું કે ઉપાધ્યક્ષ બન્યા બાદ તેમની રૂમમાં આવીને રડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સત્તા ઝેર સમાન છે. અણ્ણાએ રાહુલના ભાષણની આ લાઇન પકડીને તેના પર જોરદાર નિશાનો તાક્યો છે. અણ્ણાએ પ્રશ્ન કર્યો છે કે, સત્તા ઝેર છે તો શા માટે સત્તાની પાછળ ભાગી રહ્યાં છે? તેમણે કહ્યું કે સત્તા ઝેર નથી નશા છે.
સરકાર પર સાધ્યો નિશાનોઃ કેબિનેટમાં મંજૂર કરવામાં આવેલા સંશોધિત લોકપાલ બિલ પર અણ્ણાએ યૂપીએ સરકારને આડા હાથે લીધી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીએ તેમને પત્ર લખીને મજબૂત લોકપાલનું વચન આપ્યું હતું. સીબીઆઇએ લોકપાલના દાયરામાં લાવવાનો વિશ્વાસ પણ આપ્યો હતો, પરંતુ તેઓ તેનાથી ફરી ગયા. અણ્ણાએ તેને જનતા સાથેનો દગો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશભરમાં ફરીનો લોકોને જાગૃત કરશે.