બારામુલ્લામાં દારૂની દુકાન પર ગ્રેનેડ હુમલો, 1નું મોત, 3 ઘાયલ!
નાગરિકો પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ નવી ખુલેલી દારૂની દુકાન પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. જેમાં એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શ્રીનગર, 17 મે : કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં મંગળવારે સાંજે ફરી એકવાર આતંકવાદીઓએ નાગરિકો પર હુમલો કર્યો છે. આતંકવાદીઓએ નવી ખુલેલી દારૂની દુકાન પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. જેમાં એક નાગરિકનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હુમલો કરનાર આતંકી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યાં હતા.
મળતી માહિતી મુજબ બારામુલ્લાના દિવાન બાગમાં સાંજે આતંકવાદીઓએ થોડા દિવસ પહેલા ખુલેલી દારૂની દુકાન પર અચાનક ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર નાગરિકો ઘાયલ થયા છે. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઘટના બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગ્રેનેડ ફેંકતા પહેલા એક આતંકવાદી દારૂ ખરીદવાના બહાને દુકાનમાં આવ્યો હતો, તેણે દારુ મંગાવતા જ તેની સાથે લાવેલા ગ્રેનેડથી અચાનક તેના પર હુમલો કર્યો. આ હુમલામાં ત્યાં હાજર ચાર નાગરિકો ઘાયલ થયા હતા. આતંકીઓને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની મદદ લેવામાં આવી રહી છે, જેથી આતંકીઓની ઓળખ કરી શકાય.
બીજી તરફ, પોલીસ મહાનિરીક્ષક (IGP) કાશ્મીર વિજય કુમાર અને ડિવિઝનલ કમિશનર કાશ્મીર મંગળવારે બડગામના શેખપોરામાં ધરણા પર બેઠેલા કાશ્મીરી પંડિતોને મળ્યા હતા. તેમણે વહીવટીતંત્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે ઘાટીમાં કાશ્મીરી પંડિતોની સુરક્ષા વધારવા અને આતંકવાદને સંપૂર્ણ રીતે ખતમ કરવાની ખાતરી પણ આપી હતી.