દેશના ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ પર GST ઇન્ટેલિજન્સના દરોડા, કરચોરીનો ખુલાસો!
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના અહેવાલો આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં આને લગતો કાયદો લાવશે, પરંતુ એવું થયું નહીં.
નવી દિલ્હી, 1 જાન્યુઆરી : ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના અહેવાલો આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર સંસદના શિયાળુ સત્રમાં આને લગતો કાયદો લાવશે, પરંતુ એવું થયું નહીં. જો કે, કેન્દ્રીય એજન્સીઓ ક્રિપ્ટો બિઝનેસ સાથે સંબંધિત કંપનીઓ પર લગામ કડક કરી રહી છે. જે અંતર્ગત GST ઈન્ટેલિજન્સ ટીમે અનેક ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઈડર્સની ઓફિસ પર દરોડા પાડ્યા છે. હાલમાં એજન્સીએ તેના વિશે વધુ માહિતી શેર કરી નથી.
સત્તાવાર સૂત્રોએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, GST ઈન્ટેલિજન્સનાં અધિકારીઓ દ્વારા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ WazirX સહિત દેશભરમાં મુખ્ય ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઈડર્સની ઑફિસો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ દરમિયાન ડીજીજીઆઈને મોટા પાયે કરચોરીની જાણ થઈ છે. જો કે DGGI એ હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી. એવી આશંકા છે કે આ દરોડાની અસર ક્રિપ્ટો માર્કેટ પર પડશે.
ઘણા દેશોએ ક્રિપ્ટોકરન્સીને સંપૂર્ણ રીતે મંજૂરી આપી છે, જેના કારણે કોઈપણ નાગરિક તેમાં ટ્રાન્ઝેક્શન કરી શકે છે, પરંતુ ભારતમાં સ્થિતિ મૂંઝવણભરી છે. હકીકતમાં આપણા દેશમાં ન તો સરકારે તેને કાયદેસર બનાવ્યું છે કે ન તો તેના પર પ્રતિબંધ મૂક્યો છે. આ કારણે જો તમે ઇચ્છો તો તમે તેને કોઈપણ ક્રિપ્ટો એક્સચેન્જમાંથી ખરીદી શકો છો. બીજી તરફ ભારતીય રિઝર્વ બેંકે છેતરપિંડીને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, પરંતુ ક્રિપ્ટો એક્સચેન્જ કોર્ટમાં ગયા અને માર્ચ 2020 માં તેઓ કેસ જીતી ગયા.
બીજી તરફ આરબીઆઈ તેની ક્રિપ્ટોકરન્સીને બજારમાં લાવવા માંગે છે, જેના પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે સરકાર ક્રિપ્ટોકરન્સી પર બિલ લાવશે, ત્યાર બાદ આરબીઆઈ તેની ક્રિપ્ટો રજૂ કરશે. તે સંપૂર્ણપણે કાયદેસર હશે, જેના માળખા પર કામ ચાલી રહ્યું છે.