ખરીદ-વેચાણ રમી PM કરી રહ્યા છે ગુજરાતનું અપમાન : કોંગ્રેસ
મનીષ તિવારીએ દિલ્હીમાં પ્રેસકોન્ફર્ન્સ કરીને ગુજરાત ભાજપ પર કર્યા એક પછી એક પ્રહાર. ગુજરાતમાં નેતાઓની ખરીદીને તેમણે ગુજરાતનું અપમાન ગણાવ્યું . જાણો વધુ અહીં.
ગુજરાત ચૂંટણીને લઇને કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે, ભાજપના નેતાઓ ચૂંટણીથી ડરીને ખોટા કામો દ્વારા આ ચૂંટણીને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ દિલ્હી ખાતે એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને ભારતીય જનતા પાર્ટી પર એક પછી એક આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ કહ્યું કે ભાજપની સાથે ચૂંટણી પંચ પણ તેના આ કાવતરામાં જોડાયેલું છે. સાથે જ તેમણે સવાલ કર્યો કે કેમ ચૂંટણી પંચ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાતો નથી કરી રહી? તિવારીએ કહ્યું કે ભાજપને ખબર છે કે તે આ ચૂંટણી હારી જશે, માટે તેણે ચૂંટણી પંચને પણ પોતાનો એક ભાગ બનાવી દીધો છે. ગુજરાતની જનતાએ ભાજપની વિરુદ્ધ વિદ્રોહ કર્યો છે. અને આ હારના કારણે ભાજપ ડરી ગયું છે.
વધુમાં તિવારીએ કહ્યું કે ભાજપ ગુજરાતમાં પૈસા ખવડાવી રહ્યું છે. આ એક મહત્વનો મુદ્દો છે. ભાજપની વિરુદ્ધ આ મામલે એફઆઇઆર થવી જોઇએ અને સુપ્રીમ કોર્ટના જજ સમક્ષ આ અંગે સુનવણી થવી જોઇએ. મનીષ તિવારીએ કહ્યું કે નેતાઓને ગુજરાતમાં ખરીદી અને વેચવામાં આવી રહ્યા છે. આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું અપમાન કરી રહ્યા છે. પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તે આવું કરીને જીતી નહીં શકે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં નિખિલ સવાણી ભાજપ છોડી જઇ ચૂક્યા છે અને રેશ્મા અને વરુણ પટેલ જેવા પાટીદાર નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. વધુમાં પાસ નેતા નરેન્દ્ર પટેલ પણ ભાજપે તેને 1 કરોડમાં ખરીદવાની ઓફર આપી હોવાની સ્પષ્ટતા આપી છે. જેના સામે આજે કોંગ્રેસે દિલ્હીમાં પ્રેસ કોન્ફર્ન્સ યોજી આક્ષેપો કર્યા હતા.