ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનશે
નવી દિલ્હી, 26 ઓગસ્ટ : ગુજરાતમાં વિક્રમી ટર્મ સુધી નાણા મંત્રી રહીને સતત 10 વાર બજેટ રજૂ કરવાનો વિક્રમ સર્જનારા અને હાલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળા હવે કર્ણાટકના રાજ્યપાલ બનવા જઇ રહ્યા છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક અને ગોવા માટે નવા રાજયપાલોના નામ પસંદ કર્યા છે. આ ચાર નામમાં રાજકોટ - 2 વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સ્પીકર વજુભાઇ વાળાને કર્ણાટકના રાજયપાલ બનાવવામાં આવે તેવી શકયતા છે.
જયારે મહારાષ્ટ્રના રાજયપાલ પદે વિદ્યાસાગર રાવ, ગોવા માટે મૃદુલા સિંહા, રાજસ્થાનના રાજયપાલ તરીકે કલ્યાણ સિંહનું નામ પસંદ કર્યુ હોવાનું જાણવા મળે છે. આ ચારેય રાજયપાલોના નામ સરકારે પસંદ કરી લીધા છે અને રાષ્ટ્રપતિને આ નામોની ભલામણ કરી દેવામાં આવી છે. આજે સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.
ગુજરાત વિધાનસભામાં વજુભાઇ હાલ સ્પીકર તરીકેની કામગીરી બજાવી રહ્યા છે અને તેઓ રાજકોટ - 2 વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કરી રહ્યા છે. વજુભાઇને રાજયપાલ બનાવવામાં આવશે તો તેમણે વિધાનસભા બેઠક ખાલી કરવી પડશે અને ત્યાં પેટાચૂંટણી યોજવી પડશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાનું સ્પીકર પદ પણ ખાલી થતા આ પદ માટે પણ નવી નિમણુંક કરવામાં આવશે.
વજુભાઇ વાળા કર્ણાટક એચ આર ભારદ્વાજનું સ્થાન લેશે. કર્ણાટકનું રાજયપાલ પદ જુલાઇ મહિનાથી ખાલી છે. પૂર્વ કાયદા પ્રધાન એચ આર ભારદ્વાજનો કાર્યકાળ સમાપ્ત થતા ત્યાં આ પદ ખાલી પડયુ હતું.
મહારાષ્ટ્રના રાજયપાલ શંકર નારાયણે રાજીનામુ આપ્યુ છે, કર્ણાટકમાં એચ.આર.ભારદ્વાજની ટર્મ પુરી થઇ છે, માર્ગારેટ આલ્વાનો કાર્યકાળ પુરો થવાથી રાજસ્થાનમાં પણ રાજયપાલનું સ્થાન ખાલી છે. ગોવાના રાજયપાલ બી.વી.રાન્ચુએ પણ રાજીનામુ આપ્યુ છે તેથી આ બધા રાજયોમાં પદો ખાલી છે.
મોદી સરકારે અત્યાર સુધીમાં કુલ છ રાજયપાલોની નિયુકિત કરી છે. જેમાં યુપીના રામ નાયક, પ.બંગાળના કેસરીનાથ ત્રિપાઠી, ગુજરાતમાં ઓમપ્રકાશ કોહલી, છત્તીસગઢના બલરામજી દાસ ટંડન, નાગાલેન્ડમાં પદ્મનાભ બાલકૃષ્ણ આચાર્ય અને હરિયાણામાં કપ્તાનસિંહ સોલંકીનો સમાવેશ થાય છે.