ગુજરાત, યુપીના બળવાખોર નેતાઓ ફૂટેલી કારતૂસ સાબિત થયા
કર્ણાટકના યેદીયુરપ્પાએ પાર્ટી સામે બંડ પોકાર્યું તે પહેલા પણ અનેક રાજ્યોમાં દિગ્ગજ નેતાઓએ પોતાની પાર્ટી સામે બંડ પોકારીને બળવાખોર સાબિત થયા હતા. જો કે આમાંથી મોટા ભાગના બળવાખોર નેતાઓ હવાયેલા ફટાકડા અથવા તો ફૂટી ગયેલી કારતૂસ સાબિત થયા છે. હવેનો સમય યેદીયુરપ્પાની સ્થિતિ અથવા ભાજપને કેટલું નુકસાન થાય છે તે જોવાનું રહે છે.
ભાજપમાંથી બહાર થયા બાદ ગુજરાતમાં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઇ પટેલ તથા ઉત્તર પ્રદેશમાં કલ્યાણ સિંહ ખાસ ચમત્કાર કે પોતાનો રાજકીય દબદબો બતાવી શક્યા નથી. આ દિગ્ગજ નેતાઓ ભાજપથી બહાર થયા બાદ તેઓ પાર્ટીને કોઇ નુકસાન પહોંચાડી શક્યા ન હતા. પાર્ટીને નુકસાન પહોચાડવાના દાવાઓ કર્યા બાદ તેઓ પોતે હાંસિયામાં ધકેલાઇ ગયા હતા.

કેટલાક નેતાઓ એવા પણ છે જેમણે પોતાનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મૂકાતું લાગતા જ ફરીથી પાર્ટીમાં જોડાઇ ગયા હતા. આવા નેતાઓમાં ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા ઉમા ભારતીનો સમાવેશ થાય છે. ભાજપમાંથી અલગ પડ્યા બાદ તેમણે ભારતીય જનશક્તિ પાર્ટીની રચના કરી હતી. તેમણે મધ્યપ્રદેશની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો પણ ઉતાર્યા હતા. પણ તેમની પાર્ટી ફ્લોપ શો સાબિત થઇ હતી.
ઉત્તર પ્રદેશની વાત કરીએ તો ભાજપમાં કલ્યાણસિંહ દિગ્ગજ નેતા ગણવામાં આવતા હતા. રાજ્યમાં તેઓ ભાજપનો પર્યાય હતા. એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી કે તેમના નામથી ભાજપ ઓળખાતી હતી. તેઓ બે વાર ભાજપમાંથી બહાર થયા હતા. બંને વાર તેમણે નવી પાર્ટી રાષ્ટ્રીય ક્રાંતિ પાર્ટી અને જનશક્તિ પાર્ટીની રચના કરી. જો કે બંને વાર તેમની નવી પાર્ટીઓને બે-ચાર બેઠકોથી વધારેનો ફાયદો ના થઇ શક્યો. જ્યારે તેમણે જોયું કે પાર્ટીની બહાર સફળતા મેળવવી અઘરી છે ત્યારે દીકરા અને પુત્રવધૂ સાથે તેઓ પાર્ટીમાં જોડાઇ ગયા.
રાજનાથ સિંહના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ ભાજપમાં સામેલ થવાની તેમની તમામ ખુશી હવા થઇ ગઇ. કલ્યાણસિંહ સામે અત્યારે સૌથી મોટો પડકાર પોતાના પુત્ર અને પુત્રવધૂને સ્થાપિત કરવાનો છે. ભાજપમાંથી બહાર થયા બાદ તેઓ કોઇ પણ મોરચાના અધ્યક્ષ નથી. આ બાબત કલ્યાણ સિંહની સૌથી મોટી ચિંતા છે.
ગુજરાતમાં પણ શંકરસિંહ વાઘેલા અને કેશુભાઇ પટેલને ગુજરાત ભાજપના કદાવર નેતાઓ માનવામાં આવે છે. બંને ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.વાઘેલા જ્યારે ભાજપમાં બળવો કરીને અલગ થયા ત્યારે તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી હતી. જો કે તેમને ખાસ સફળતા નહીં મળતા તેઓ કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ તેઓ પાછલી યુપીએ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. આ વખતની વિધાનસભા ચૂંટણીઓમાં તેઓ પોતાનો જાદુ ચલાવી શક્યા નથી.
આવી જ રીતે કેશુભાઇ પટેલ પણ ભાજપમાંથી અલગ થયા બાદ ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી ચૂક્યા છે. તેમણે વિધાનસભા ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો પણ ઉભા રાખ્યા આમ છતાં મોદીના મજબૂત ગઢના કાંકરા ખેરવવામાં સફળતા મળી ન હતી.
કર્ણાટકમાં યેદીયુરપ્પા તાજુ ઉદાહરણ છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપ સામે બળવો કરી નવી પાર્ટી રચનાર યેદીયુરપ્પાને કેટલી સફલતા મળે છે.












Click it and Unblock the Notifications
