જેલની બહાર આવશે ગુરમીત રામ રહીમ, ત્રણવાર ચૂંટણી સમયે મળ્યા પેરોલ
હત્યાના બે કેસ અને રેપ કેસમાં દોષી સાબિત થયેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને આ વર્ષે 3 વાર પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે.
હત્યાના બે કેસ અને રેપ કેસમાં દોષી સાબિત થયેલા ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને આ વર્ષે 3 વાર પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો છે. આ વચ્ચે એક વાત સૌનું ધ્યાન ખેંચે છે તે એ છે કે, ગુરમીતને જ્યારે જ્યારે પેરોલ મળ્યા છે, ત્યારે ત્યારે ચૂંટણી નજીક હતી. હવે સવાલ એ થાય છે કે, આ એક કોઇન્સિડન્ટ છે કે, જાણી જોઇને તેને ચૂંટણી સમયે જેલમાંથી બહાર મોકલવામાં આવી રહ્યો છે.
હાલમાં 14 ઓક્ટોબરના રોજ રોહતકની સુનારિયા જેલમાંથી 40 દિવસની પેરોલ પર બહાર મોકલવામાં આવ્યો હતો. આ નોંધનીય છે કે, આ પહેલા તેને ફેબ્રુઆરી અને જૂન મહિનામાં પેરોલ આપવામાં આવી હતી.
પહેલી પેરોલ - 7 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી, 2022 - ગુરમીત રામ રહીમને ચાલુ વર્ષે પહેલીવાર 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી વચ્ચે પેરોલ મળી હતી. આ સમય દરમિયાન 20 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી.
બીજી પેરોલ - 17 જૂન 2022 - ગુરમીત રામ રહીમને આ જ વર્ષે બીજી વાર 17 જૂન, 2022 ના રોજ પેરોલ મળી હતી. આ પેરોલ 30 દિવસ માટે હતી. આ દરમિયાન 19 જૂન, 2022 ના રોજ હરિયાણામાં 46 નગરપાલિકાઓ માટે મહત્વપૂર્ણ ચૂંટણીઓ યોજાઈ હતી.
ત્રીજી પેરોલ - 14 ઓક્ટોબર - ગુરમીત રામ રહીમને એક જ વર્ષમાં ત્રીજી વાર 14 ઓક્ટોબરના રોજ પેરોલ મળી હતી, આ પેરોલ તેને 40 દિવસ માટે મળી છે. આ દરમિયાન હરિયાણાના આદમપુરમાં 3 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. આ સાથે સાથે હિમાચલ પ્રદેશમાં પણ 12 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.
આ તમામ વિસ્તારો એવા છે, જ્યાં હજૂ પણ ગુરમીત રામ રહીમનો દબદબો કાયમ છે. અત્રે એ પણ નોંધનીય બાબત છે કે, રહીમ દોષિત જાહેર થયા બાદથી અત્યાર સુધીમાં કુલ છ વખત પેરોલ પર બહાર આવી ચૂક્યો છે. ગુરમીત રામ રહીમ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં ખુબ જ લોકપ્રિય નામ છે.
આ કેસોમાં દોષિત છે ગુરમીત રામ રહીમ
ગુરમીત રામ રહીમ ત્રણ અલગ-અલગ આરોપોમાં જેલની સજા કાપી રહ્યો છે. ગુરમીત રામ રહીમને મે 2002માં સંપ્રદાયના અનુયાયી રણજીત સિંહની હત્યા, ઓક્ટોબર 2002માં પત્રકાર રામ ચંદ્ર છત્રપતિની હત્યા અને 2002માં તેની બે મહિલા અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે ઓગસ્ટ 2017માં ગુરમીત રામ રહીમને ત્રણેય કેસોમાં દોષિત ઠેરવ્યા હતા અને તેને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સજાના પગલે હરિયાણામાં હિંસા ફાટી નીકળી હતી, જેમાં લગભગ 41 જેટાલા લોકોના મોત થયા હતા.