આસારામ બાપુ સામે શારિરીક શોષણનો કેસ દાખલ, થઇ શકે છે ધરપકડ
નવી દિલ્હી, 21 ઑગસ્ટ : આદ્યાત્મિક ગુરુ આસારામ બાપુની સામે દિલ્હીમાં શારીરિક શોષણનો કેસ નોંધવામાં આવ્યો છે. દિલ્હીના કમલા નગરમાં જોધપુરની રહેનારી એક સગીરા કેસ નોંધાવ્યો છે. આ સગીરા આસારામના ગુરુકુલમાં અભ્યાસ કરે છે. તેણે એવો આરોપ લગાવ્યો છે કે આસારામ બાપુએ તેને તેમના આશ્રમમાં બોલાવીને તેની સાથે છેડછાડ કરી.
સૂત્રોના જણાવ્યા અનુસાર 16 વર્ષની આ બાલીકાએ બે દિવસ પહેલા કમલાનગર પોલીસ સ્ટેશનમાં આસારામ બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મંગળવારે મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી લીધી. હવે આગળની કાર્યવાહી જોધપુર પોલીસને કરવાની છે. આ મામલામાં આસારામની ધરપકડ પણ થઇ શકે છે. દિલ્હી પોલીસ આગળની તપાસ માટે આ કેસ જોધપુર ટ્રાંસફર કરી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુનું ધાર્મિક ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે, તેમની સામે ફરિયાદ નોંધીને પૂછપરછ કરવી પોલીસ માટે લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થશે. એવામાં સગીરાએ આસારામ બાપુ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આસારામ પર પહેલા પણ આવા ઘણા ગંભીર આરોપો લાગી ચૂક્યા છે, પરંતુ પહેલીવાર તેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.