હાથરસ કેસમાં એસપી-ડીએસપી સસ્પેન્ડ, આરોપીઓ અને પીડિત પરિવારનો થશે નાર્કો ટેસ્ટ
હાથરસમાં દલિત કિશોરી સાથે હેવાનિયત અને હત્યાના કેસમાં જિલ્લાના સીનિયર પોલિસ અધિકારીઓ પર મોટી કાર્યવાહી થઈ રહી છે.
નવી દિલ્લીઃ હાથરસમાં દલિત કિશોરી સાથે હેવાનિયત અને હત્યાના કેસમાં જિલ્લાના સીનિયર પોલિસ અધિકારીઓ પર મોટી કાર્યવાહી થઈ રહી છે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે એસપી વિક્રાંત વીર સિંહ, એક ડીએસપી અને ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલ અધિકારીઓનો પૉલીગ્રાફ ટેસ્ટ પણ થશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે પોલિસ અધિકારીઓ સામે આ કાર્યવાહી કરી છે. એસપી શામલી વિનીત જયસ્વાલને હાથરસના એસપી બનાવવામાં આવ્યા છે. શુક્રવારે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાથરસના સમગ્ર કેસનો રિપોર્ટ માંગ્યો હતો ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે અધિકારીઓ પર કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે.

નાર્કો પૉલીગ્રાફ ટેસ્ટ પણ થશે
સસ્પેન્ડ થનારા અધિકારીઓમાં એસપી વિક્રાંત વીર સિંહ, સીઓ રામ શબ્દ, ઈન્સ્પેક્ટર દિનેશ કુમાર વર્મા, એસઆઈ જગવીર સિંહ અને હેડ મોહર્રિર મહેશ પાલ શામેલ છે. આ ઉપરાંત પોલિસ સ્ટેશનના બધા પોલિસકર્મીઓનો નાર્કો પૉલીગ્રાફ ટેસ્ટ કરાવવામાં આવશે. આ સાથે સાથે પીડિત અને આરોપી, બંને પક્ષોનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.

શું છે સમગ્ર કેસ, જેમાં થઈ કાર્યવાહી
હાથરસના ચંદપા ક્ષેત્રમાં પોતાની મા સાથે ખેતરમાં ગયેલી 19 વર્ષની દલિત કિશોરી સાથે 14 સપ્ટેમ્બરે ગામની બીજી જાતિના ચાર યુવકોએ કથિત રીતે રેપ કર્યો. કિશોરી સાથે ખરાબ રીતે મારપીટ પણ કરવામાં આવી. તેનુ કરોડનુ હાડકુ તૂટી ગયુ અને હેવાનિયતની હદ વટાવીને તેની જીભ પણ કાપી દેવામાં આવી. દિલ્લીની સફદરગંજ હોસ્પિટલમાં 29 સપ્ટેમ્બરે કિશોરીએ દમ તોડી દીધો.

પોલિસ પ્રશાસન પર લાગ્યા છે ગંભીર આરોપ
આરોપ છે કે કિશોરી સાથે ઘટના થયા બાદ પહેલા તો આઠ દિવસ સુધી પોલિસે રિપોર્ટ નોંધવા અને રેપની કલમો તેમાં ઉમેરવામાં આનાકાની કરી. ત્યારબાદ જ્યારે પીડિતાનુ મોત થઈ ગયુ ત્યારે રાતે પરિવારજનોની મરજી વિરુદ્ધ બળજબરીથી રાતે કિશોરીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ત્યારબાદ આના માટે દેશમાં ગુસ્સો વધ્યો અને કથિત રીતે પરિવારને ધમકાવીને ચૂપ રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. પરિવારે ડીએમ અને સીનિયર અધિકારીઓ પર પ્રેશર કરવા અને ધમકાવવાના આરોપ લગાવ્યા છે.












Click it and Unblock the Notifications
