આરોગ્ય મંત્રાલયની 50 આવશ્યક દવાઓ આજીવન મફત આપવા યોજના
નવી દિલ્હી, 21 જૂન : નરેન્દ્ર મોદી સરકાર અચ્છે દિન લાવશે તેમાં કોઇ બેમત નથી. આ બાબતનો પુરાવો કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે આપ્યો છે. દેશમાં ચલાવાતા સ્વાસ્થ્ય અભિયાન હેઠળ દેશભરમાં લોકોને જન્મથી મૃત્યુ સુધી 50 જીવનરક્ષક દવાઓ મફત આપવાની યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
દેશના તમામ લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચાડવા માટે સરકાર તબક્કાવાર યોજનાનું અમલીકરણ કરશે. આ બાબતની શરૂઆત દેશની કેટલીક પસંદગીની હોસ્પિટલોથી શરૂ કરવામાં આવશે.
આ આયોજન અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું કે આ 50 જેનેરિક (જીવનરક્ષક)દવાઓથી દર્દીઓના ઇલાજની 75 ટકા જરૂરીયાતો પુરી થઇ જશે. અમારી યોજના લોકોને જન્મથી મૃત્યુ સુધી દવાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાની છે. એક વખત યોજના સંપુર્ણ રીતે લાગુ થઇ જાય તો તમામને આ દવાઓ મળવા લાગશે.
જે દર્દ અંગે દવાઓ મફત આપવામાં આવશે તેમાં દર્દ, સંક્રમણ, બીપી અને ડાયાબિટીસની દવાઓ સામેલ છે. માનક યાદી થકી ઉચિત મૂલ્ય પર આ દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાશે. જરૂરીયાત પુરી કરવા માટે આ દવાઓનું ઉત્પાદન 35 ટકા જેટલું વધારવામાં આવશે.
ડો.હર્ષવર્ધને વધુમાં એમ પણ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમ હેઠળ કુશળ મેનેજમેન્ટ, ગુણવત્તા અને તર્ક સંગત ઉપયોગ પર ભાર મુકવામાં આવશે કારણ કે 50 ટકા દવાઓ વધારાની તથા ખોટા ઉપયોગથી વ્યર્થ જાય છે.
કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરાશે કે તમામ હોસ્પિટલો, પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્રો અને ડિસ્પેન્સરીમાં આ દવાઓની યોગ્ય ઉપલબ્ધતા રહે સાથોસાથ ડોકટરોને પણ નિર્દેશ અપાશે કે તેઓ નિયમોનુ પાલન કરે.