મુંબઇથી ગુમ થયેલું હેલિકોપ્ટર ક્રેશ થતા 4ના મૃતદેહ મળ્યા
મુંબઇમાં ઓનએનજીસી જઇ રહેલા એક હેલિકોપ્ટરને નડ્યો અકસ્માત. જેમાં હાલ 4 મૃતદેહ મળ્યા છે. જાણો આ સમાચાર વિષે વધુ અહીં
મહારાષ્ટ્રના મુંબઇમાં જૂહુ એરપોર્ટથી ઉડ્ડાન ભર્યા પછી ગુમ થયેલા પવન હંસ હેલિકોપ્ટરના ક્રેશ થવાની ખબર મળી છે. તટ રક્ષક દળને હાલ આ મામલે 4 મૃતદેહ અને હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યો છે. હેલિકોપ્ટરમાં બે પાયલોટ સમેત ઓએનજીસીના પાંચ કર્મચારી હતા. મળતી જાણકારી મુજબ VT PWA હેલિકોપ્ટરે શનિવારે સવારે 10:20 વાગે જુહુ એરપોર્ટથી ઉડ્ડાન ભરી હતી. અને 10:58 આ હેલિકોપ્ટરને ઓએનજીસીના નોર્થ ફિલ્ડ પર ઉતરવાનું હતું. પણ હેલિકોપ્ટર સાથે સંપર્ક તૂટી જતા અને યોગ્ય સમયે યોગ્ય સ્થાને ન મળતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. અધિકારીક સુત્રોથી પ્રાપ્ત જાણકારી મુજબ હેલિકોપ્ટરથી ઓયલ રિગ એર ટ્રાફિક કંટ્રોલને છેલ્લે સવારે 10:30 સંપર્ક કર્યો હતો. અને ઉડ્ડાન પહેલા નિયમો મુજબ પાયલોટે પોતાનો રેડિયો સંપર્ક જૂહુ એર ટ્રાફિક કંટ્રોલથી ઓયલ રિગમાં જોડ્યો હતો.
જે પછી પાયલોટ લગભગ 2 મિનિટ સુધી કુલ 9 કિલોમીટરના ક્ષેત્રફળમાં સંપર્કમાં હતો. પણ પાછળથી તેનો સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટરનો સંપર્ક તૂટતા ભારતીય તટ રક્ષકને એલર્ટ કરવામાં આવ્યું હતું. અને હેલિકોપ્ટરની શોધ કરવા માટે 2 આઇએસવી અને તટ રક્ષક દળના 3 યુનિટને મોકલવામાં આવ્યા હતા. આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત પણ કરી હતી અને જાણકારી આપી હતી. જે પછી તટ રક્ષક દળ અને અન્ય એજન્સી દ્વારા તેમને મદદ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજી 4 લોકોના જ મૃતદેહ મળ્યા છે. અને હેલિકોપ્ટર જ્યારે ઉડ્યું હતું ત્યારે તેમાં 7 લોકો સવાર હતા. ત્યારે હાલ અન્ય લોકોના મૃતદેહને શોધખોળ ચાલું છે.