ભારત બંધઃ જાણો, બંધ દરમિયાન દેશભરમાં કેવો હતો માહોલ
અહીં જાણો, ભારત બંધ દરમિયાન દેશભરમાં કેવા હતા હાલાત.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારા અને સતત ગગળી રહેલા રૂપિયાના વિરોધમાં વિપક્ષ કોંગ્રેસ સહિત તેમના સાથી પક્ષોએ 10મી સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ મળીને ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. દેશમાં ક્યાંક તોડફોડ તો ક્યાંક ગાંધીગીરીથી બંધ પાળવામાં આવ્યો હતો. તો અહીં જાણો સમગ્ર દેશમાં કેવો માહોલ હતો.
ગુજરાતમાં બંધની અસર
ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકરોએ સ્કૂલો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો, ઠેર-ઠેર પ્રદર્શનો કર્યાં હતાં ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સતવ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભરૂચમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો હતો જ્યારે રાજકોટ તથા વડોદરામાં શાળા-કોલેજો સ્વયંભૂ બંધ રાખવામાં આવી હતી. સુરતના સોસિયા સર્કલ પાસે પ્રદર્શન કરી રહેલા 120 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તો ભૂજમાં પણ પ્રદર્શન કરતા 15 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
બેંગ્લોરમાં બંધની અસર
બેંગ્લોરમાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સિટી બસ સર્વિસ બિલકુલ ઠપ થઈ ગઈ હતી, કેબ ડ્રાઈવર્સ, ઓટો ચાલકો અને દુકાનદારોએ પણ મોટાપાયે સ્વયંભુ બંધમાં ફાળો નોંધાવ્યો હતો. જો કે બેંગ્લોરમાં કોઈપણ પ્રકારની તોડફોડનો કિસ્સો સામે નહોતો આવ્યો પણ બેલગાવીમાં રેલી દરમિયાન નારા લગાવતી વખતે ભૂલમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાએ પેટ્રોલ પ્રાઈઝ ઘટાડોની જગ્યાએ વધારો કહી દીધું હતું, અન્ય કાર્યકરે તેને થપ્પડ ઝીંકી દીધી હતી જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગયો હતો.
પંજાબમાં બંધની અસર
પંજાબ કોંગ્રેસ ચીફ સુનિલ જાખરની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પંજાબના પટિયાલા, ગુરદાસપુર, મોરનિદા, મોહાલી અને લુધિયાણામાં આંદોલન ચલાવ્યું હતું. હરિયાણાના અંબાલા, પંચકુલા, યમુનાનગર, રોહતક અને પાણીપત સહિતના શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યો હતો અને ભાજપ સરકાર પર નાગરિકો પ્રત્યે અંધ હોવાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ
બંધ દરમિયાન કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો આમને સામને આવી જતાં અથડામણ થઈ હતી. જેને પગલે ઉડુપી જિલ્લા તંત્રએ 10 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યાથી 11 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધી કલમ 144 લગાવી દીધી છે. અથડામણ દરમિયાન ભાજપના પ્રભાકર પુજારીને ગંભીર ઈજા થતાં તાત્કાલિક ધોરણે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. અથડામણને પગલે ઉડુપી સિટી મ્યુનિસિપલ કાઉન્સિલમાં કોંગ્રેસના કાઉન્સલર રમેશ કંચન ઘાયલ થતાં તેમને પણ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આંધ્ર પ્રદેશમાં બંધની અસર
અમુક જગ્યાએ આંદોલનકારીઓને હટાવવા માટે પોલીસે પાવરનો ઉપયોગ કર્યો તે સિવાય ક્રિષ્નાનગર, વેસ્ટ ગોદાવરી સહિતના અન્ય જિલ્લાઓમાં કોંગ્રેસે કરેલ બંધ શાંતિપૂર્ણ રીતે પાળવામાં આવ્યો હતો. સ્થાનિક ટ્રાન્સપોર્ટ બંધ કરાવી દેવામાં આવ્યું હતું જ્યારે ગવર્નમેન્ટ ઑફિસો ચાલુ રહી હતી. કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસે બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
બિહારમાં 2 વર્ષની બાળકી મૃત્યુ પામી
બિહારના ઝેહાનાબાદમાં હોસ્પિટલે લઈ જતી વખતે આંદોલનકારીઓએ રસ્તો બ્લોક કરી રાખ્યો હોવાથી 2 વર્ષની બાળકી મૃત્યુ પામી. ગૌરી કુમારી નામની બાળકી મૃત્યુ પામી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને રાહુલ ગાંધીને સવાલ કર્યો કે શું આ બાળકીના મોતની જવાબદારી રાહુલ ગાંધી સ્વીકારશે?
મહારાષ્ટ્રમાં બંધની અસર
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં ભાજપના જ સહયોગી પક્ષ શિવસેનાએ પણ ભાજપ પર તંજ કસ્યો હતો. શિવસેના અને મનસેએ મહારાષ્ટ્રમાં સંપૂર્ણપણે બંધ પળાવ્યો હતો. જો કે અમિત શાહનો કોલ આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ બંધને સપોર્ટ ન આપવાનો નિર્ણય કરી લીધો હતો.
તેલંગણામાં બંધની અસર
તેલંગણામાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધ પાળવામાં આવે તે પહેલા જ પોલીસે નિઝામાબાદથી કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મેડક જિલ્લામાં પેટ્રોલ પંપ અને સ્કૂલ-કોલેજો બંધ રાખવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસ, CPI(M) અને ટીડીપીના કેટલાક કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. તેલંગણામાં બસ સેવા ખોરવાઈ ગઈ હતી. તેલંગણા સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની કુલ 630 બસમાંથી માત્ર 57 બસો જ ચાલુ રાખવામાં આવી હતી.
લેફ્ટી નેતાઓની ધરપકડ
પેટ્રોલની કિંમતમાં વધારાના વિરોધમાં ચેન્નઈમાં જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે પોલીસે CPI(M)ના સ્ટેટ સેક્રેટરી કે. બાલક્રિશ્નને કસ્ટડીમાં લઈ લીધા. જેને પગલે કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો.
ત્રિપુરામાં બંધની અસર
ત્રિપુરામાં કોંગ્રેસના કાર્યકરોએ સરકારી ઑફિસની બહાર ધરણાં ધર્યાં હતાં, જેને પગલે પોલીસે 300 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી. આ ઘટના સિવાય ત્રિપુરામાં સંપૂર્ણ શાંતિ સાથે બંધ પાળવામાં આવ્યો હતો. અહીં ટ્રેડ, બિઝનેસ અને એજ્યુકેશન સેક્ટર સંપૂર્ણપણે બંધ રહ્યાં હતાં.
મેંગ્લુરુમાં બંધની અસર
મેંગ્લોરમાં કોંગ્રેસ, જનતાદળ અને તેમના સાથી પક્ષોના કાર્યકરોએ દાદાગીરી કરી હોવાનું જાણવા મળ્યું. પોલીસે જમાવ્યા મુજબ બેંગ્લોરથી મેંગ્લુરુ આવી રહેલી પ્રાઈવેટ અને KSRTC બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ, શહેરની શિવબાગ હોટલ પર પણ પથ્થરમારો થયો હોવાના અહેવાલ મળ્યા છે.
મનમોહન સિંહે સરકાર પર પ્રહાર કર્યો
દિલ્હીમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના નેતાઓ સાથે મનમોહન સિંહ પણ ધરણાં પર બેઠા હતા. તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા. પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું હું કે "દેશના હિતમાં ન હોય તેવું મોદી સરકારે ઘણું કામ કર્યું, હવે તેઓએ હદ પાર કરી દીધી છે." વધુમાં કહ્યું કે હવે સરકાર બદલવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસના નેતાઓ આંદોલન પર બેઠા હતા.
પટનામાં બંધની અસર
પટનાના ગાંધી મેદાન પહર રાજ્યના કોંગ્રેસી નેતાઓ ભેગા થયા હતા. કોંગ્રેસની સહાયક પાર્ટીના કાર્યકરો પણ આંદોલનમાં જોડાયા હતા. ભારત બંધના પગલે પટનાની તમામ દુકાનો અને બિઝનેશ સંસ્થાનો બંધ રહ્યા હતા. આંદોલનકારીઓએ કેટલીક પ્રાઈવેટ બસના કાચ તોડી નાખ્યા હતા.
ઓરિસ્સામાં ગાંધીગીરી
સોમવારે સવારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ પેટ્રોલની કિંમતમાં વધારાના વિરોધમાં કરેલ ભારત બંધને પગલે ઓરિસ્સાનું જનજીવન ખોરવાઈ ગયું હતું. બંધને પગલે બીજુ પટનાયક યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજીએ પોતાની તમામ એફિલિયેટ કોલેજો બંધ રાખી હતી અને રાજ્યની સ્કૂલો પણ બંધ રાખવામાં આવી હતી. બંધને સમર્થન આપવા માટે ઓરિસ્સા કોંગ્રેસના નેતાઓએ હાથ જોડી લોકોને વિનંતી કરીને ગાંધીગીરી અપનાવી હતી.
રાહુલ ગાંધીએ મોદી પર કર્યા પ્રહાર
રાહુલ ગાંધીએ રામલીલા મેદાનથી મોદી સરકાર સામે હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે જનતાએ પીએમ મોદી પર 2014 માં ભરોસો કર્યો. રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ 2014 માં મોટા મોટા વચનો આપ્યા હતા પરંતુ તે વચનોને તેમણે પૂરા કર્યા નહિ. આજે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર પીએમ મોદી ચૂપ છે. રાહુલે કહ્યુ કે વધતી મોંઘવારી, ખેડૂતોની આત્મહત્યા, રોજગારના મુદ્દે, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો પર તે ચૂપ છે.