ઓરંગાબાદ, 27 માર્ચ: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ છે, દરેક પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારો એક પછી એક જાહેર કરી રહી છે. જેમાં ઘણી સેલેબ્રિટીઓના નામ પણ જાહેર થયા છે. પરંતુ આતંકવાદી પણ લોકસભા ચૂંટણી લડે એ વાત કંઇ અજુકતી લાગે છે પરંતુ આ સમાચાર બિલકૂલ સાચા છે. ઓરંગાબાદ લોકસભા બેઠકથી એક આતંકવાદી ચૂંટણી લડવા માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરવાની તૈયારીમાં છે.
આપને જાણીને આશ્ચર્ય થશે કે પૂણેની જર્મ બેકરીમાં થયેલા વિસ્ફોટ મામલે દોષી હિમાયત બેગ ઓરંગાબાદ લોકસભા મતવિસ્તારથી ચૂંટણી લડવા જઇ રહ્યો છે. સ્થાનીય પક્ષ બહુજન મુક્તિ પાર્ટીના રાહુલ મકરેએ બુધવારે આ જાણકારી આપતા તેની ઔપચારિક જાહેરાત પણ કરી દીધી છે.
એડવોકેટ મકરેએ આરોપ લગાવ્યો છે કે એનઆઇએએ બેગને ક્લીન ચિટ આપી દીધી છે, પરંતુ મહારાષ્ટ્ર એટીએસે તેને ખોટી રીતે ફસાવી દીધો છે. મકરેએ જણાવ્યું કે હજારો મુસલમાન યુવક ખોટા આરોપોમાં જેલની સજા કાપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે બેગે ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે કોર્ટ પાસે પરવાનગી માગી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પુણેની એક કોર્ટ 18 એપ્રિલ 2013ના રોજ હિમાયત બેગને ફાંસીની સજા સુણાવી ચૂકી છે. વર્ષ 2010માં થયેલા જર્મન બેકરી બ્લાસ્ટમાં પાંચ વિદેશીઓ સહિત 17 લોકોના મોત નીપજ્યાં હતા. મામલાના કુલ છ આપોરી હતા. છઠ્ઠા આરોપી શખ્સ હિમાયત બેગને કોર્ટમાં 15 એપ્રિલના રોજ દોષી જાહેર કરવામાં આવ્યો હતો. હિમાયતને ભારતીય દંડ સંહિતાની ધારા 302(હત્યા), 307(હત્યાનો પ્રયાસ), 435, 474(ફ્રોડ), 153(એ) (ધર્મ, નસ્લ, જન્મસ્થાન, ભાષાના આધાર પર વિભિન્ન વર્ગોમાં વૈમનસ્ય ફેલાવવા અને સાંપ્રદાયિક સદ્ભાવને નુકસાન પહોંચાડવાવાળી ગતિવિધિઓને અંજામ આપવો) તથા 120 (બી) (આપરાધિક ષડયંત્ર) હેઠળ દોષી ઠેરવ્યો હતો. મહારાષ્ટ્ર એટીએસે હિમાયતની 7 સપ્ટેમ્બર 2010એ ધરપકડ કરી હતી.