ગૃહમંત્રાલયે આપી હિન્દીમાં કામ કરવાની સૂચના, કરુણાનિધિ વિફર્યા
નવી દિલ્હી, 19 જૂન : ગૃહ મંત્રાલયમાં હવે તમામ પ્રકારના કામકાજ હિન્દીમાં થશે. આ સંબંધમાં બુધવારે ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધારે હિન્દી ઉપયોગમાં લાવનાર અધિકારીને પુરસ્કૃત પણ કરવામાં આવશે.
તમામ સરકારી કચેરીઓ, સરકારી કંપનીઓ અને કેન્દ્રીય મંત્રાલયો માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર હિન્દીમાં કામ કરવું ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે તેના અધિકારીઓ હિન્દીમાં ટ્વીટ કરે અને સાથે ફેસબૂક, ગૂગલ અને બ્લોગ્સ વગેરેમાં પણ હિન્દીનો ઉપયોગ શરૂ કરે. આવો નિર્દેશ ગૃહ મંત્રાલયે આપ્યો છે. આવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીને કારણે કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે 26 મેના રોજ એક પત્ર લખ્યો હતો. જેમાં સરકાર અને સરકારી અધિકારીઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ હિન્દીમાં જ કરવો એમ કહેવામાં આવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારી અધિકારીઓએ પોતાની કોમેન્ટ અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં પણ પોસ્ટ કરવી પડશે. ટૂંકમાં હિન્દીને પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું હતું. ગૃહ વિભાગે એમ પણ જણાવ્યું છે કે આ નિર્દેશને તમામ વિભાગોના ધ્યાનમાં લાવવામાં આવે.
અનેક સરકારી અધિકારીઓ ટ્વીટ કરે છે પરંતુ અંગ્રેજીમાં કરે છે. તેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દીન પણ છે. તેઓ વિદેશ મંત્રાલય તરફથી ટ્વીટ કરે છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર હિન્દી અને અંગ્રેજી બંનેમાં ટ્વીટ કરે છે. નિર્મલા સીતારમણ અંગ્રેજી, હિન્દી અને તમિલમાં ટ્વીટ કરે છે. ભાજપના મુખ્યમંત્રીઓ રમણસિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજે પણ હિન્દીમાં ટ્વીટ કરે છે.
હિન્દીના ઉપયોગ અંગે કરૂણાનિધિ વિફર્યાં
સંપૂર્ણ કામકાજ હિન્દીમાં કરવા અંગેના નિર્ણયની ટીકાઓ શરૂ થઇ ગઇ છે. જેમાં ડીએમકે પ્રમુખ કરૂણાનિધિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ નેટવર્ક પર હિન્દીના ઉપયોગ અંગે વિરોધ નોંધાવ્યો છે. તેમણે જણાવ્યું છે કે મોદીએ હિન્દીની જગ્યાએ વિકાસ પર ધ્યાન આપવું જોઇએ. તેમણે જણાવ્યું કે આમ કરવાથી બિન હિન્દીભાષીઓ નીમ્ન સ્તરના હોય તેવું લાગી રહ્યું છે.












Click it and Unblock the Notifications
