હું કાયદાથી ઉપર નથી, સીબીઆઇ તપાસ માટે તૈયાર: મનમોહન
નવી દિલ્હી, 24 ઓક્ટોબર: ચીન પ્રવાસથી પરત ફરેલા વડાપ્રધાન મનમોહન સિંહે જણાવ્યું કે તેઓ કોલસા કૌભાંડના મામલે સીબીઆઇ તપાસનો સામનો કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે તેઓ કાયદાથી ઉપર નથી. મામલાની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલી રહી છે અને તેમની પાસે છૂપાવવા માટે કઇ નથી. પરંતુ બીજેપીએ ફરીથી જણાવ્યું છે કે વડાપ્રધાનના રાજીનામા વગર કોઇ તપાસનો કંઇ અર્થ નથી.
કોલસા કૌભાંડના મામલે ચારેય બાજુથી થઇ રહેલા હુમલાના પગલે વડાપ્રધાનનું વલણ આક્રમક બન્યું છે. ગુરુવારે ચીનના પ્રવાસેથી પરત આવતી વખતે પોતાના વિશેષ વિમાનનમાંથી પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે તેઓ કાયદાથી ઉપર નથી અને કોલસા કૌભાંડની તપાસમાં સીબીઆઇનો સામનો કરવા માટે તૈયાર છે.
વડાપ્રધાનનનું આ નિવેદન વિરલા ગ્રુપની કંપની હિંડાલ્કોને આપવામાં આવેલા કોલસા બ્લોક પર થયેલા વિવાદ બાદ આવ્યું છે. 2005માં થયેલી ફાળવણીના સિલસિલામાં નોંધાયેલ એફઆઇઆરમાં ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને પૂર્વ કોલસા સચિવ પીસી પારેખને સીધા નિશાના પર લેતા સીબીઆઇએ એક સક્ષમ ઓથોરિટીની વાત કરી છે. 2005માં કોલસા મંત્રાલય વડાપ્રધાનની પાસે હતું માટે સક્ષમ ઓથોરિટી તેમને જ માનવામાં આવી રહ્યા છે.
પરંતુ વડાપ્રધાનને વિપક્ષના હુમલાની પરવાહ નથી. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કૌભાંડ યુપીએ-2માં નહીં બલકે યુપીએ-1 વખતે થયો હતો. છતાં કોંગ્રેસ 2009માં ચૂંટણી જીતી ગઇ. તેમણે દાવો કર્યો કે 2014 ચૂંટણીના પરિણામો પણ લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે.