Lakhimpur Kheri: પીએમ મોદીના મંત્રી અજય મિશ્રા બોલ્યા- દીકરો દોષી જણાયો તો આપી દઈશ રાજીનામુ
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યુ છે કે લખીમપુર ખીરી કાંડમાં તેમનો દીકરો દોષી જણાયો તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાએ કહ્યુ છે કે લખીમપુર ખીરી કાંડમાં તેમનો દીકરો દોષી જણાયો તો તે પોતાના પદ પરથી રાજીનામુ આપી દેશે. ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે કેન્દ્રીય મંત્રીના દીકરા આશિષ મિશ્રાની કારથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા, જે ત્યાં પ્રદર્શન કરી રહ્યા હતા. ચારે તરફ દબાણ સહન કરી રહેલ અજય મિશ્રા ટેનીએ કહ્યુ છે કે લખીમપુર ખીરીમાં જે જગ્યાએ હિંસા થઈ હતી ત્યાં તેમના દીકરાની હાજરીનો એક પણ પુરાવો મળ્યો તે પોતાનુ પદ છોડી દેશે. તમને જણાવી દઈએ કે આ ઘટનામાં અને ત્યારબાદ કથિત જવાબી કાર્યવાહીમાં કુલ 8 લોકોના મોત થયા છે.
દીકરા સામે એક પણ પુરાવો મળ્યો તો આપી દઈશ રાજીનામુઃ અજય મિશ્રા
કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ઈન્ડિયા ટુડે ટીવીને આ મામલે કહ્યુ કે, 'લખીમપુર ખીરીમાં જે જગ્યાએ ઘટના બની, ત્યાં મારા દીકરાની હાજરીનો એક પણ પુરાવો સામે આવ્યો તો હું મંત્રી પદેથી રાજીનામુ આપી દઈશ.' રવિવારે થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ 8 લોકો માર્યા ગયા હતા. આ હિંસા ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થઈ હતી. ખેડૂત સંગઠનોનો દાવો છે કે મંત્રીના દીકરા આશિષ મિશ્રાની ગાડીથી જ પ્રદર્શનકારીઓને કચડવામાં આવ્યા હતા પરંતુ આશિષ મિશ્રા સતત દાવો કરી રહ્યા છે કે ઘટના સ્થળે તેમનો દીકરો હાજર નહોતો.
અજય મિશ્રાના દીકરા પર નોંધાયો છે હત્યાનો કેસ
આ હિંસા ત્યારે ભડકી જ્યારે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય તિકુનિયા પહોંચવાના હતા. આ વિસ્તાર અજય મિશ્રાના પૈતૃત ગામ પાસે જ છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે અજય મિશ્રાના દીકરાએ ખેડૂતોને કચડ્યા. જ્યારે અજય મિશ્રા અને તેમના દીકરા આશિષનો દાવો છે કે પ્રદર્શનકારીઓએ ભાજપના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં તેમના એક ડ્રાઈવર ઉપરાંત ત્રણ લોકો માર્યા ગયા જેમાં બે ભાજપના કાર્યકર્તા પણ છે. આ મામલે આશિષ મિશ્રા સામે હત્યા, ગુનાહિત ષડયંત્ર જેવી કલમોમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
'કાફલા પર હુમલો થયો અને ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધુ'
સોમવારે જ અજય મિશ્રાએ એ આરોપોનુ ખંડન કર્યુ હતુ કે જે વાહન પ્રદર્શનકારીઓ પર કથિત રીતે ચડાવવામાં આવ્યુ હતુ, તેને તેમનો દીકરો આશિષ ચલાવી રહ્યો હતો. અજય મિશ્રાએ કહ્યુ છે કે, 'અમારા કાર્યકર્તા મુખ્ય અતિથિનુ સ્વાગત કરવા ગયા હતા અને હું તેમની સાથે હતો. એ વખતે અમુક અસામાજિક તત્વોએ કાફલા પર હુમલો કરી દીધો. આ દરમિયાન કારના ડ્રાઈવરને ઈજા થઈ ગઈ અને તેણે નિયંત્રણ ગુમાવી દીધુ...જેના પરિણામે કાર પલટી ગઈ.'
ક્યારે થશે આશિષ મિશ્રાની ધરપકડ?
તમને જણાવી દઈએ કે ખેડૂત સંગઠનો સહિત વિપક્ષી પાર્ટીઓ આરોપી આશિષ મિશ્રાની ધરપકડની માંગ કરી રહ્યા છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સામે પણ ષડયંત્રમાં શામેલ હોવાનો કેસ નોંધીને તેમને મોદી મંત્રીપદેથી હટાવવાની માંગ કરી રહ્યા છે. અજય મિશ્રા લખીમપુર ખીરી અને આસપાસના વિસ્તારાં સારો પ્રભાવ માનવામાં આવે છે. હવે જોવાની વાત એ છે કે યુપી વિધાનસભા ચૂંટણી પહેલા આવેલ આ રાજકીય પડકારને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈ રીતે ઉકેલે છે. ખાસ કરીને એટલા માટે કારણકે યુપીમાં યોગી આદિત્યનાથની સરકારથી બ્રાહ્મણોના એક વર્ગની નારાજગીના પણ દાવા થતા રહ્યા છે અને જુલાઈમાં અજય મિશ્રાને આના કારણે જ આટલા મહત્વના મંત્રાલયની જવાબદારી પણ આપવામાં આવી છે.