કોરોના વિશે ICMR-NIV ડિરેક્ટરનું નિવેદન, હજુ બેફિક્ર થવાનો સમય નથી!
દેશના ઘણા રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી દીધા છે. માસ્ક પહેરવાનું ફરજિયાત પણ દૂર કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હી, 1 એપ્રિલ : દેશના ઘણા રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી દીધા છે. માસ્ક પહેરવાનું ફરજિયાત પણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ICMR-NIV ના ડાયરેક્ટર ડૉ. પ્રિયા અબ્રાહમે કહ્યું છે કે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોવા છતાં આપણે સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને માસ્ક પહેરવાનું બંધ કરવું યોગ્ય નથી, કારણ કે તે રોગ સામે એક મહત્વપૂર્ણ શસ્ત્ર છે.
ડૉ. પ્રિયા અબ્રાહમે શુક્રવારે કહ્યું કે અત્યારે કોવિડ-19નું સંક્રમણ ઘણું ઓછું છે, જે ચોક્કસપણે સારું છે અને રાહતની વાત છે. આ હોવા છતાં આપણે હજી પણ સાવચેતી અને તકેદારી જાળવવાની જરૂર છે. તમામ સાવચેતીઓ છોડી દેવાનો સમય હજુ આવ્યો નથી. આપણે કોઈપણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવું જોઈએ. ચેપના ફેલાવાને રોકવામાં માસ્કની ભૂમિકા ખૂબ મોટી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને ઘણા રાજ્યોએ કોરોના પ્રતિબંધોમાં નોંધપાત્ર રાહત આપી છે. મોટાભાગના રાજ્યોએ હવે કોરોનાને લગતા તમામ પ્રતિબંધો નાબૂદ કરી દીધા છે. તે જ સમયે મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું પણ મરજીયાત બનાવી દેવાયુ છે.
દેશમાં હવે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, દૈનિક કેસોની સંખ્યા પણ તેના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1335 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 52 લોકોના મોત થયા છે. તે પછી જો આપણે દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસની વાત કરીએ તો આ સંખ્યા 13762 છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 521181 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોના રસીકરણની વાત કરીએ તો, અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 181318937 ડોઝ આપવામાં આવ્યા છે.