CM તરીકે યુવતીની જાસૂસી કરાવનાર PM બનતા શું કરશે?: શિંદે
નવી દિલ્હી, 2 મે : લોકસભા ચૂંટણી 2014ના ગરમા ગરમીવાળી સ્થિતિ વચ્ચે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને કોઇ પણ રીતે ભીંસમાં લેવાની એક પણ તક કોંગ્રેસ છોડવા નથી માંગતી. આથી જ સ્નૂપગેટ કૌભાંડ તરીકે જાણીતા બનેલા મહિલા જાસુસી પ્રકરણમાં તપાસ કરવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ જાસુસી પ્રકરણ મુદ્દે નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. શિંદેએ કહ્યું, જ્યારે મુખ્યપ્રધાન હોવા છતાં તેઓ મહિલાની જાસુસી કરે છે તે માણસ વડા પ્રધાન બનશે તો મહિલાઓની સુરક્ષાનું શુ થશે? શિંદેએ એમ પણ જણાવ્યું કે કેબિનેટના નિર્ણય બાદ જલ્દી જ આ કેસની તપાસ માટે જજની નિયૂક્તિ કરાશે. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી આચાર સંહિતાનો ભંગ ન થતો હોવાની સ્પષ્ટતા પણ તેમણે કરી.
બીજી તરફ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલનો આરોપ છે કે, ભાજપ આ કેસની તપાસ થાય તેનાથી ગભરાઈ ગઈ છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસ મોદી પર છેલ્લો પ્રહાર કરવા માંગે છે. આથી અંદરખાને કેન્દ્ર સરકારે આ કેસની તપાસ જલ્દી શરૂ થાય તે માટેની તૈયારીઓ કરવા માંડી છે.
નોંધનીય છે કે આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીએ દેશના તમામ જજોને અપીલ કરી હતી કે તેઓ જાસુસી પ્રકરણની તપાસ ન કરે.
મહિલા આક્રિટેક્ટની જાસુસી કરવવાના પ્રકરણમાં કોંગ્રેસ અલ્હાબાદ હાઇકોર્ટના જજને નિયૂક્ત કરી શકે છે. મળતા સમાચારો પ્રમાણે કેન્દ્ર સરકાર અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ધનંજય યશવંત ચંદ્રચૂડને તપાસ માટે કોઈ જજની અપોઇન્ટ કરવા અપીલ કરશે. નવા નિમાયેલી જજ તપાસ સમિતિના અધ્યક્ષ બનશે.